ઉલ્હાસનગરની હૉસ્પિટલમાં કોવિડની સારવાર લઈ રહેલા બે આરોપી પલાયન

09 August, 2020 11:51 AM IST  |  Mumbai | Mumbai correspondent

ઉલ્હાસનગરની હૉસ્પિટલમાં કોવિડની સારવાર લઈ રહેલા બે આરોપી પલાયન

ઉલ્હાસનગરની હૉસ્પિટલમાંથી પલાયન થઈ ગયેલા આરોપી મુકેશ ઉર્ફે આર્યન શ્રીધર જગતાપ અને કુણાલ ઉર્ફે અભિષેક બારક્યા.

ઉલ્હાસનગરની કોવિડ હૉસ્પિટલમાંથી બે રીઢા ગુનેગાર ગઈ કાલે બપોરે હૉસ્પિટલની બારીમાંથી નીચે ઊતરીને પલાયન થઈ જવાથી હૉસ્પિટલમાં દોડધામ મચી ગઈ હતી. આરોપીઓને કોરોનાનું સંક્રમણ થવાથી અહીંની સરકારી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાયા હતા.

ઉલ્હાસનગરના હિલ લાઈન પોલીસના જણાવ્યા મુજબ મુકેશ ઉર્ફે આર્યન શ્રીધર જગતાપ અને કુણાલ ઉર્ફે અભિષેક બારક્યા નામના બે આરોપીની હિલ લાઈન પોલીસ દ્વારા ચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેઓ કસ્ટડીમાં હતા ત્યારે તેમને કોરોનાનું સંક્રમણ થતાં ઉલ્હાસનગરની એક સરકારી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરાયા હતા. આજે બપોરે લંચ ટાઈમ પર તેઓ હૉસ્પિટલની બારીમાંથી ઝાડને પકડી નીચે ઊતરીને પલાયન થઈ ગયા હતા.

હિલ લાઈન પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય સાવંતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીઓ હૉસ્પિટલમાંથી પલાયન થઈ ગયા હોવાની ફરિયાદ નોંધીને અમે તપાસ હાથ ધરી છે. ત્રણ ટીમ તેમને શોધી રહી છે.’

mumbai mumbai news ulhasnagar coronavirus covid19 lockdown