23 September, 2020 11:08 AM IST | Mumbai | Shirish Vaktania
રોગચાળા બાદ જૈન દૈરાસર પાવનધામને કોવિડ સેન્ટરમાં પરિવર્તિત કરાયું હતું.
કોરોના વાઇરસના ઇન્ફેક્શનનો પ્રકોપ ફરી ભભૂકી ઊઠતાં અગાઉ બંધ કરવામાં આવેલાં કોવિડ સેન્ટર્સ ફરી શરૂ કરવામાં આવે છે. બોરીવલી અને કાંદિવલી વચ્ચેના પોઇસર વિસ્તારના મહાવીરનગરમાં પાવનધામ કોવિડ સેન્ટર ફરી શરૂ કરવાની પરવાનગી મુંબઈ મહાનગરપાલિકાએ આપી છે. ગયા મહિને પાલિકાએ આ કોવિડ સેન્ટર બંધ કર્યું હતું. મુંબઈ મહાનગરપાલિકાએ પાવનધામ મૅનેજમેન્ટને લખેલા પત્ર અનુસાર હવે ૩૧ ઑક્ટોબર સુધી એ સેન્ટર કોરોના ઇન્ફેક્શનના ડાયાબિટીસ-બ્લડપ્રેશર જેવી વ્યાધિઓ વગરના ઍસિમ્પ્ટૉમૅટિક દરદીઓની સારવાર કરી શકશે.
સંસદસભ્ય ગોપાલ શેટ્ટીના સંચાલનમાં ચાલતા પાવનધામ કોવિડ કૅર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૮૫૦ દરદીઓની સારવાર કરાઈ છે. જોકે એ સેન્ટરમાં ચાર્જ લેવાતો હોવાથી તેને સહાય નહીં કરવાનો નિર્ણય પાલિકાએ લીધો હોવાનું અસિસ્ટન્ટ કમિશનર ભાગ્યશ્રી કાપસેએ જણાવ્યું હતું. સંસદસભ્ય ગોપાલ શેટ્ટીએ જણાવ્યું હતું કે ‘પાવનધામ મુંબઈનું શ્રેષ્ઠ કોવિડ કૅર સેન્ટર હતું. આ કોવિડ કૅર સેન્ટર પાલિકા પોતાના સંચાલનમાં લઈને કોરોના ઇન્ફેક્શનના દરદીઓની વિનામૂલ્ય સારવાર કરે અથવા પાવનધામ મૅનેજમેન્ટને આર્થિક સહાય કરે એવી માગણી કરું છું.’