હવે કોરોનાને કારણે મરણાંક વધ્યો નથી: અજૉય મેહતા

19 June, 2020 07:22 AM IST  |  Mumbai | Arita Sarkar

હવે કોરોનાને કારણે મરણાંક વધ્યો નથી: અજૉય મેહતા

અજૉય મેહતા

કોરોનાને કારણે મહારાષ્ટ્ર પર ઘણી ભીંસ આવી અને ખાસ કરીને મુંબઈએ ઘણું સહન કર્યું છે. યોગ્ય તબીબી સુવિધાઓના અભાવની ફરિયાદો ઉપરાંત વેપાર-ધંધામાં મોટું નુકસાન અને નોકરીઓ ગુમાવવાની વ્યથા પણ લોકોએ ભોગવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના-ઇન્ફેક્શનના ૧.૧ લાખ કેસ નોંધાયા છે અને આ રોગચાળામાં ૫૬૦૦થી વધુ મૃત્યુ નોંધાયાં છે. કોવિડ-19ના દરદીઓ માટે વ્યાપક પ્રમાણમાં હેલ્થ કૅર ફૅસિલિટી ઉપલબ્ધ કરાવ્યા છતાં મુંબઈ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારની ટીકા કરવામાં આવે છે.

લૉકડાઉનનાં નિયંત્રણો હળવાં કરવાની શરૂઆતને બે અઠવાડિયાં વીત્યા પછી ‘મિડ-ડે’એ રાજ્ય સરકારના મુખ્ય સચિવ અજૉય મેહતાની મુલાકાત લઈને મહાનગર મુંબઈ વિશે ભાવિ યોજનાઓની ચર્ચા કરી હતી. અજૉય મેહતાએ મુંબઈમાં રોગચાળાને ડામવા અને કથળેલી આર્થિક પ્રવૃત્તિઓને ફરી પાટે ચડાવવા માટે લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની યોજનાઓની જાણકારી આપી હતી. નિર્ધારિત પગલાંમાં ડેટા મૅનેજમેન્ટ સક્ષમ બનાવવા કોવિડ-19ના દરદીઓ માટે ટ્રૅકિંગ સિસ્ટમ અને પ્રાઇવેટ હૉસ્પિટલોમાં બેડની ઉપલબ્ધતાના મૉનિટરિંગ માટે ઑડિટર્સને જવાબદાર ગણવાની જોગવાઈનો સમાવેશ છે. એ ઉપરાંત મહાનગરના હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સક્ષમતા અને સજ્જતા તપાસવાની તેમ જ ચેપી રોગના પ્રોટોકૉલ મૅનેજમેન્ટનો ક્યાસ કાઢવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

પ્રશ્ન : કોવિડ-19ના દરદીઓની વિગતોની ફેરગણતરી પછી મૃત્યુદર વધે છે. દરદીઓ અને મરણના આંકડા ઘટતા કેમ નથી?

ઉત્તર :શરૂઆતમાં આંકડા વધતા હતા એ નક્કી. રોગ નવો અને સારવારની પદ્ધતિ વિશે કોઈને જાણકારી મળી નહોતી. એ બીમારીની સારવાર સંબંધી પૂર્ણ સંસ્થાકીય વ્યવસ્થાના અભાવે વેળાસર રોગનિદાનની પણ સમસ્યા હતી, પરંતુ હવે રોજનો સરેરાશ દૈનિક મૃત્યુદર ત્રણથી ચાર ટકા છે. હવે મરણાંક કે મૃત્યુદર ઊંચો નથી. અમે એ આંકડો નીચે લાવવા પ્રયત્નશીલ છીએ. વિગતોની ફેરગણતરીને કારણે જૂના આંકડા ઉમેરાતાં આંકડો વધારે લાગે છે, પરંતુ રોજિંદા આંકડામાં ઘટાડો દેખાય છે.

પ્રશ્ન : તમે નવાં સૉફ્ટવેર અને ડેટા અપડેશન માટે વિવિધ જિલ્લાઓમાં અલગ પૉર્ટલનો ઉલ્લેખ કર્યો હતો. એ બાબતે વધુ વિગતો આપશો?

ઉત્તરઃ કાર્યવાહી અને કાર્યપદ્ધતિમાં સુધારા માટે ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીનો ઉપયોગ હંમેશાં ચાલતો હોય છે. અમને કોઈ પણ ખામી જણાય તો અમે સિસ્ટમ અપગ્રેડ કરીએ છીએ. કોરોનાની સારવાર માટે ક્યાં કેટલા બેડ ઉપલબ્ધ છે એની માહિતી એક જગ્યાએ મળતી ન હોવાનું અમારા ધ્યાનમાં આવ્યું હતું. એ સમસ્યા અમે ઉકેલી લીધી હતી. જુદી-જુદી જગ્યાએ અલગ-અલગ નામ આપીને ટેસ્ટિંગ કરાવતા લોકોની વિગતોનું પુનરાવર્તન થતું હોય તો એ વિગતોની પણ કાપકૂપ કરવાનો વ્યાયામ અમે કરી રહ્યા છીએ. દરદીનો કોરોના-રિપોર્ટ પૉઝિટિવ આવે ત્યારથી તેનું સતત ટ્રેસિંગ અનિવાર્ય બને છે. ડેટા ડિસ્ક્રિપન્સી પણ મોટી સમસ્યા છે. એ સમસ્યાના ઉકેલ માટે નવી ટ્રૅકિંગ સિસ્ટમ અમલી બનશે. ત્યાર પછી દરદીનો રિપોર્ટ પૉઝિટિવ મળ્યા પછી ૪૮ કલાકમાં દરેક દરદીની સ્થિતિની જાણકારી મળશે. અગાઉ દરદી કોરોનાથી મૃત્યુ પામ્યા પછી વિગતો સેન્ટ્રલ ડેટા બેઝમાં પહોંચતાં ૧૦થી ૧૫ દિવસ લાગતા હતા.

પ્રશ્ન : લૉકડાઉનનાં નિયંત્રણો હળવાં કરવાનો સિલસિલો શરૂ કર્યાને લગભગ બે અઠવાડિયાં થયાં છે. મુંબઈ માટે આગામી જોગવાઈઓ અને સૂચનાઓ શી છે? હાલમાં કેસની સંખ્યા જોતાં લોકલ ટ્રેનો ક્યારે શરૂ થશે?

ઉત્તર : મુંબઈમાં બધા જીવનવ્યવહાર ખુલ્લા કરવામાં ઘણી સાવચેતી રાખવી પડશે. લોકોની હેરફેર અને ભીડ વધતાં કોરોના-ઇન્ફેક્શનના કેસ વધવાનું જોખમ પણ વધે છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ શરૂ કરવા વિશે હમણાં કંઈ નક્કી કરવામાં આવ્યું નથી. સાર્વજનિક વાહનવ્યવહારનું પ્રમાણ વધારવાની દિશામાં ધીમે-ધીમે આગળ વધીશું. હજી ચોમાસુ ચેપી બીમારીઓના દરદીઓની વ્યવસ્થાનો પણ પ્રશ્ન ઊભો છે, પરંતુ કોરોના-ઇન્ફેક્શનના દરદીઓમાં હૉસ્પિટલાઇઝેશનની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બચતાં બિછાના-બેડ ચોમાસુ બીમારીઓના દરદીઓને માટે ફાળવવામાં આવશે.

coronavirus covid19 ajoy mehta mumbai mumbai news arita sarkar