06 April, 2020 11:04 AM IST | Mumbai | Samiullah Khan
શતાબ્દી હૉસ્પિટલ
કોરોના વાઇરસના રોગચાળાને કારણે કાંદિવલીની શતાબ્દી હૉસ્પિટલમાં ૭૨ કલાક ક્વૉરન્ટીન કરાયેલી ૬૮ નર્સના ટેસ્ટ-રિપોર્ટ નેગેટિવ આવતાં બધી નર્સ ડ્યુટી પર ફરી પાછી હાજર થઈ ગઈ હતી. ૬૭ નર્સના પરિવારમાં અને પાડોશમાં રાહત તથા ખુશીની લાગણી પ્રસરી હતી. જોકે એ નર્સને પાડોશીઓનાં મહેણાં-ટોણાં સાંભળવાં પડ્યાં છે. મલાડમાં રહેતી ૪૦ વર્ષની નર્સને તેના બિલ્ડિંગના લોકો કહે છે, ‘તું અમારે માટે શું કામ જોખમ ઊભું કરે છે? તું અમારા આંગણે બીમારી લાવે છે. તું નોકરી પરથી રજા લઈ લે અથવા હૉસ્પિટલમાંજ રહે.’
લોકોનાં મહેણાં-ટોણાં સહન કરતી નર્સે જણાવ્યું હતું કે ‘અમને ત્રણ દિવસ કાંદિવલીની ઈએસઆઇસી હૉસ્પિટલમાં ક્વૉરન્ટીન કરવામાં આવ્યાં હતાં. એ સમય ઘણો કપરો હતો, કારણ કે ત્યાં કોઈ મૂળભૂત સુવિધા નહોતી. ખાદ્ય પદાર્થોનું કોઈ ઠેકાણું નહોતું. અમને વાસી બ્રેડ અપાયા હતા. અમારા કુટુંબના સભ્યોએ ગળે ઊતરે એવું ખાવાનું પહોંચાડ્યું હતું. ટેસ્ટ-રિપોર્ટની પ્રતીક્ષામાં અમે બે રાત ઊંઘી પણ શક્યા નહોતા. આટલા દિવસોમાં અમને ઘણું શીખવા મળ્યું. ઘણા ડૉક્ટરો રજા પર ઊતરી ગયા છે. અમે દરદીઓને મદદ કરવા ઇચ્છીએ છીએ, પરંતુ કામ કરવા માટે અનિવાર્ય સુરક્ષા માટેની જોગવાઈઓ ક્યાં છે?’