23 July, 2020 07:06 AM IST | Mumbai | Arita Sarkar
ફાઈલ તસવીર
મુંબઈગરાને તેમનાં મનપસંદ સ્ટ્રીટ ફૂડ્સની ઊણપ લાગતી હશે પરંતુ રોગચાળાને ધ્યાનમાં રાખીને છેલ્લા ચાર મહિનાથી શહેરમાં સ્ટ્રીટ ફૂડ સ્ટૉલ્સ કાર્યરત નથી એ હકીકત નાગરિકો માટે વરદાનરૂપ બની છે.
જોકે કોવિડ-19ની લડતમાં માસ્ક પહેરવા, વારંવાર હાથ ધોવા અને હૅન્ડ સૅનિટાઇઝરનો ઉપયોગ કરવા જેવાં સાવચેતીનાં પગલાંને લીધે ગૅસ્ટ્રોઇન્ટેસ્ટિનલ અને હેપેટાઇટિસ દરદીઓની સંખ્યામાં તીવ્ર ઘટાડો નોંધાયો હોવાનું જાહેર થયું છે.
બીએમસીએ જણાવ્યા મુજબ ગયા વર્ષે જૂનમાં ઝાડા સહિત ગૅસ્ટ્રોઇન્ટેસ્ટિનલ રોગોના કુલ ૭૭૭ કેસ હતા, જે આ વર્ષે ઘટીને ૪૦ નોંધાયા છે.
એ જ રીતે ગયા વર્ષે જુલાઈમાં ગૅસ્ટ્રોના ૯૯૪ કેસ નોંધાયા હતા, જે આ વર્ષે ૧૨ જુલાઈ સુધી માત્ર ૨૧ કેસ નોંધાયા છે. હેપેટાઇટિસ-એના કેસોમાં પણ ઘટાડો નોંધાયો હતો. ગયા વર્ષે જૂનમાં હેપેટાઇટિસ-એના ૨૮૨ કેસ તથા જુલાઈમાં ૨૭૦ કેસ હતા, જ્યારે આ વર્ષે જૂનમાં માત્ર ત્રણ જ્યારે કે જુલાઈનાં પહેલાં બે અઠવાડિયાંમાં હજી સુધી એક પણ કેસ નોંધાયો નથી.
રાજાવાડી હૉસ્પિટલનાં તબીબી અધિક્ષક ડૉ. વિદ્યા ઠાકુરે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘કદાચ લોકોમાં હાથની સ્વચ્છતા જાળવવાની સભાનતાને કારણે અને મોટા ભાગના લોકો સ્ટ્રીટ ફૂડ ન ખાતાં ઘરે જ જમ્યા હોવાથી કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે જે લગભગ ૯૦ ટકા જેટલો છે.’
કદાચ લોકોમાં હાથની સ્વચ્છતા જાળવવાની સભાનતાને કારણે અને મોટા ભાગના લોકો સ્ટ્રીટ ફૂડ ન ખાતાં ઘરે જ જમ્યા હોવાથી કેસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે જે લગભગ ૯૦ ટકા જેટલો છે.
- ડૉ. વિદ્યા ઠાકુર, રાજાવાડી હૉસ્પિટલનાં મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ