05 April, 2020 09:33 AM IST | Mumbai | Mumbai Correspondent
આઝાદ મેદાનના ગ્રાઉન્ડ્સમેન મહેશ જયસ્વાલ સાથે પ્રફુલ ઉપાધ્યાય(જમણી બાજુ). તસવીર: સુરેશ કરકેરા.
ક્રિકેટનો શોખ ધરાવતા અને જ્ઞાતિની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરતા બોરીવલીમાં રહેતા બિઝનેસમૅન અને પાર્ટટાઇમ પત્રકાર પ્રફુલ્લ ઉપાધ્યાય મુંબઈનાં મેદાનોમાં રખેવાળીનું કામ કરતા અદના કર્મચારીઓની વહારે આવ્યા છે.
કોરોનાને કારણે જ્યાં અન્ય નાના માણસોને મદદ મળી રહી છે ત્યાં મુંબઈનાં મેદાનોમાં ગ્રાઉન્ડમેનનું કામ કરતા લોકો ખરેખર કફોડી હાલતમાં મુકાઈ ગયા છે. તેમને કોઈ સરકારી સહાય નથી મળી રહી.
આવી કટોકટીભરી પરિસ્થિતિમાં બોરીવલીમાં રહેતા પ્રફુલ્લ ઉપાધ્યાય તેમની મદદે દોડી ગયા છે. ક્રિકેટનો શોખ હોવાથી અલગ-અલગ ગ્રાઉન્ડ પર મૅચ રમતા પ્રફુલ્લભાઈએ આઝાદ મેદાન, ક્રૉસ મેદાન, ઓવલ મેદાન અને સેન્ટ્રલ લાઇનમાં માટુંગાની પોદાર કૉલેજ સામે આવેલા માટુંગાના મેદાનના કુલ ૪૦ જેટલા માળીઓને સીધું આપવાની કિટ વહેંચી છે, જેમાં મહિનાભરનું કરિયાણું તેમને અપાયું છે. આ કિટમાં ૧૦ કિલો ઘઉંનો લોટ, ૧૦ કિલો ચોખા, બે–બે કિલો અલગ-અલગ દાળ, બે કિલો તેલ, પાંચ કિલો સાકર, અડધો કિલો ચાનો પાઉડર, મરચું, ધાણાજીરું, હળદર, મીઠું મળી રસોઈને લગતા મોટા ભાગના બધા કરિયાણાની કિટ બનાવીને તેમણે આ ૪૦ માળીઓને આપી છે. જોકે મુંબઈ ક્રિકેટ અસોસિએશને એમની મદદ કરવી જોઈએ.