ભારતીય રેલવેના 14000 કરતાં વધુ કર્મચારીઓ કોવિડ-19થી સંક્રમિત

21 September, 2020 07:15 AM IST  |  Mumbai | Mumbai Correspondent

ભારતીય રેલવેના 14000 કરતાં વધુ કર્મચારીઓ કોવિડ-19થી સંક્રમિત

પ્રતીકાત્મક તસવીર

ચાલુ અઠવાડિયામાં ભારતીય રેલવેએ સંસદમાં સત્તાવાર રીતે આંકડાકીય માહિતી આપતાં જણાવ્યું હતું કે ૧૮ સપ્ટેમ્બર સુધીમાં મધ્ય રેલવેમાં ૧૩૨૩ કર્મચારીઓ જ્યારે કે પશ્ચિમ રેલવેમાં ૯૯૪ કર્મચારીઓ એમ ભારતીય રેલવેના કુલ ૧૪,૭૧૪ કર્મચારીઓ કોવિડ-19 સંક્રમિત છે.

સાઉથ સેન્ટ્રલ રેલવેમાં ૨૨૦૦, સેન્ટ્રલ રેલવેમાં ૧૩૨૩, ઉત્તર રેલવેમાં ૧૩૦૭, સધર્ન રેલવેમાં ૧૧૪૫ અને પૂર્વ મધ્ય રેલવેમાં ૧૦૧૩ કર્મચારીઓ સંક્રમિત છે. મધ્ય રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે પરિસ્થિતિને કાબૂમાં લાવવાની કોશિશ કરી રહ્યા છીએ. મધ્ય રેલવેના ચીફ પીઆરઓ શિવાજી સુતારે કહ્યું હતું કે મધ્ય રેલવે તેના કર્મચારીઓની સુરક્ષા માટે શક્ય તમામ પગલાંઓ લઈ રહી છે. પોતાના એક લાખ કરતાં વધુ કર્મચારીઓની સંભાળ લેવા માટે મધ્ય રેલવેએ રેલ પરિવાર દેખરેખ ઝુંબેશ શરૂ કરી છે, પછીથી આ ઝુંબેશ અન્ય સેક્શનમાં પણ શરૂ કરવામાં આવશે. આ ઝુંબેશ હેઠળ સ્ટાફમાં માસ્ક, સૅનિટાઇઝર્સ અને પીપીઈ કિટ્સની વહેંચણી ઉપરાંત તેમને મળતી તબીબી સુવિધાઓમાં પણ સુધારાઓ કરવામાં આવશે. રેલવેની હૉસ્પિટલોમાં હવે કુશળ અને તાલીમ ધરાવતો મેડિકલ સ્ટાફ અને ડૉક્ટરોની ટીમ ઉપલબ્ધ રહેશે. પશ્ચિમ રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે મુંબઈ સેન્ટ્રલ સ્થિત જગજીવનરામ હૉસ્પિટલમાં કોવિડ-19 રોગીઓની બહેતર સંભાળ માટે ઇન-હાઉસ જેઆરએચ એપ ડેવલપ કરવામાં આવી છે. એક વિશેષ પહેલ તરીકે રોગીઓને ભાવનાત્મક સહાય પૂરી પાડવા માટે પશ્ચિમ રેલવેએ બે ક્લિનિકલ સાયકોલોજિસ્ટની સલાહ મેળવી છે.

mumbai mumbai news coronavirus covid19 lockdown indian railways