04 August, 2020 07:31 AM IST | Thane | Agencies
વિડિયો-કૉન્ફરન્સિંગથી મીરા રોડની ૩૭૧ બેડની હૉસ્પિટલનું ઉદ્ઘાટન કરતા મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગઈ કાલે જણાવ્યું હતું કે રાજ્યમાં ચેપી બીમારીઓ માટે એક કાયમી સમર્પિત હૉસ્પિટલની જરૂર છે. થાણે જિલ્લામાં આવેલા મીરા-ભાઈંદરમાં ૩૭૧ બેડની કોવિડ સુવિધાના ઉદ્ઘાટન પ્રસંગે તેમણે ઉપરોક્ત નિવેદન આપ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે કોવિડ-19 મહામારી સામે લડવા માટેની સુવિધાઓ મેદાનો તથા હૉલમાં ઊભી કરવામાં આવી હતી અને એ કામચલાઉ સ્વરૂપની છે, જ્યારે આ સમયે ચેપી બીમારીઓ ક્ષેત્રે સંશોધન અને સારવાર માટે એક કાયમી સુવિધાની તાતી જરૂર છે.
૨૭ જુલાઈએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય આરોગ્યપ્રધાન હર્ષ વર્ધન સાથે વિડિયો-કૉન્ફરન્સ થકી વાતચીત કરવા દરમિયાન રાજ્યના મુખ્ય પ્રધાને મુંબઈ નજીક ચેપી બીમારીઓ માટેની કાયમી હૉસ્પિટલ પ્રસ્થાપિત કરવા કેન્દ્રની મદદ માગી હતી.
મીરા-ભાઇંદર વિસ્તારમાં કોવિડના આશરે ૭૦૦૦ કેસ છે. આ માટે માત્ર ૧૦૦ બેડની એક હૉસ્પિટલ ઉપલબ્ધ છે. આથી ૩૭૧ બેડની અન્ય હૉસ્પિટલ કાર્યરત થતાં સ્થાનિક લોકોને યોગ્ય સારવાર મળશે.