24 April, 2020 07:54 AM IST | Mumbai | Arita Sarkar
ભીડને કાબૂ કરવી મુશ્કેલ
મુંબઈ મહાનગરપાલિકાના એમ-ઈસ્ટ વૉર્ડ એટલે કે ગોવંડી, શિવાજીનગર, બૈંગનવાડી અને માનખુર્દ વિસ્તારોમાં કોરોના વાઇરસના ઇન્ફેક્શનના ૧૬૬ કેસ અને ૧૬ મૃત્યુ નોંધાતાં ત્યાં રોગચાળાની ધારાવીની સ્થિતિના પુનરાવર્તનની શક્યતા જણાઈ રહી છે. લૉકડાઉનના અમલ માટે મુંબઈ મહાનગરપાલિકાના અધિકારીઓને ઘણી મુશ્કેલી પડી રહી છે. વળી રમજાન મહિનો નજીક આવતો હોવાથી સ્થાનિક લોકો પાસે સોશ્યલ ડિસ્ટન્સિંગનો અમલ કરાવતાં પાલિકાના અધિકારીઓના નાકે દમ નીકળી જશે.
એક વખતે આ વિસ્તારમાં રસ્તા પર આંટા મારતા લોકોને ઘરે મોકલવા પોલીસે તેમની પાછળ દોડવું પડતું હતું. એ લોકો પણ હવે થાકી ગયા છે. શિવાજીનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સુદર્શન પૈઠણકરે જણાવ્યું હતું કે અમારા ૩૫ અધિકારીઓ અને ૨૦૦ કૉન્સ્ટેબલનો સ્ટાફ પૅટ્રોલિંગની ડ્યુટી પર રહેશે.
જોકે જમીર સિદ્દીકી નામના એક સ્થાનિક રહેવાસીએ કહ્યું હતું કે બપોરે ખૂબ ગરમી થતી હોવા છતાં લોકો ઘરમાં રહે છે અને સાંજે બહાર નીકળે છે.
એમ-ઈસ્ટ વૉર્ડમાં સાડાનવ લાખ લોકોની વસ્તી છે. એ ગીચ વસ્તીમાં અત્યંત ગરીબ લોકો અને ખાસ કરીને સ્થળાંતરી મજૂરો અને રોજી પર કામ કરનારા શ્રમિકોનો સમાવેશ છે. અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુધાંશુ દ્વિવેદીએ જણાવ્યું હતું કે ‘અમે ૩૦ કન્ટેઇનમેન્ટ ઝોન્સ બનાવ્યા છે. ટૉઇલેટ ધરાવતા દરેક બ્લૉકને બૅરિકેડ્સ લગાવ્યાં છે. જથી ટૉઇલેટને બહને પણ લોકો સીમા પાર કરીને બીજા વિસ્તારમાં ન શકે.’
એ વિસ્તારની નૂર-એ-ઇલાહી મસ્જિદમાં મૌલાના અબ્દુલ શેખે જણાવ્યું હતું કે ‘રમજાનના તહેવાર દરમ્યાન લોકોને ઘરમાં ઇફ્તારી કરવાનું અમે પ્રોત્સાહન આપીએ છીએ. અમે મસ્જિદમાંથી દિવસમાં બે-ત્રણ વખત લોકોને માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવવા અને ઘરમાં રહેવાની સૂચનાઓની જાહેરાત કરીએ છીએ. રસ્તા પર આંટા મારતા લોકોને ઘરમાં બેસવા જણાવીએ છીએ.’