08 August, 2020 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૅગી
કોરોના રોગચાળાએ લોકોને ઘણું શીખવ્યું અને ઘણી આદતો બદલી છે. ખરીદી અને ખાનપાનની આદતોમાં ફેરફાર જોવા મળ્યો છે. નીલ્સન હોલ્ડિંગ્સે હાથ ધરેલા બજારના સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે રોગપ્રતિકારકતા વધારવા માટે ડાબર કંપનીનો ચ્યવનપ્રાશ (આમળા, મધ, ખાંડ, ઘી, કેસર વગેરે જડીબુટ્ટીઓ અને તેજાના મસાલાનું મિશ્રણ) અને હિમાલય ડ્રગ કંપનીની સેપ્ટીલિન (ગળો અને જેઠીમધની બનાવટ)નું ધૂમ વેચાણ થયું છે. સર્વેક્ષણના આંકડા અનુસાર જૂન મહિનામાં ડાબર સહિત વિવિધ કંપનીઓના ચ્યવનપ્રાશનું વેચાણ ૨૮૩ ટકા અને બ્રૅન્ડેડ મધનું વેચાણ ૩૯ ટકા વધ્યું હતું. ડાબર કંપનીએ એપ્રિલથી જૂન મહિનાના ચાર મહિનાના ગાળામાં એના ચ્યવનપ્રાશના વેચાણમાં ૭૦૦ ટકા વૃદ્ધિ નોંધી હતી. એ ચાર મહિનામાં યોગગુરુ બાબા રામદેવના પતંજલિ આયુર્વેદના નેટ સેલ્સમાં જબ્બર વધારો નોંધાયો હોવાનું નીલ્સન હોલ્ડિંગ્સે સર્વેક્ષણમાં નોંધ્યું છે.
નીલ્સન હોલ્ડિંગ્સના સર્વેક્ષણની વિગતો અનુસાર માર્ચ મહિનાથી પૅકેજ્ડ ફૂડની માગ વધી છે. મૅગી નૂડલ્સ માટે જાણીતી કંપની નેસ્લે ઇન્ડિયાએ માર્ચ મહિનામાં પૂરા થતા ત્રિમાસિક ગાળામાં મહેસૂલી આવકમાં ૧૦.૭ ટકાની વૃદ્ધિ નોંધી છે. એમાં મૅગી ઉપરાંત કિટ કૅટ અને મન્ચ જેવી ચૉકલેટ્સનો પણ સમાવેશ છે.