બે મહિનાની મહેનત ૧૦ દિવસમાં ધૂળધાણી

21 February, 2021 10:36 AM IST  |  Mumbai | Prajakta Kasale

બે મહિનાની મહેનત ૧૦ દિવસમાં ધૂળધાણી

નિષ્ણાતોએ સેકન્ડ વેવની ચેતવણી આપીને મુંબઈગરાઓને સાવધ રહેવાનું કહ્યું હતું છતાં ઘણા લોકો રસ્તા પર માસ્ક પહેર્યા વિના ફરતા જોવા મળ્યા હતા. (તસવીર: સુરેશ કરકેરા)

મુંબઈમાં કોવિડ-19ના કેસની રોજિંદી સરેરાશ અડધી કરવા માટે ૬૦ દિવસની એકાગ્ર મહેનત ધૂળધાણી થઈ રહી હોય એવું ચિત્ર ઊપસી રહ્યું છે. બે મહિનાના પ્રયાસો પર ફક્ત ૧૦ દિવસમાં પાણી ફરી વળ્યું હોય એમ લાગે છે, કારણ કે રોજ નોંધાતા દરદીઓની સંખ્યા વધતી જાય છે અને જાહેર સ્થળોએ લોકો બિન્દાસ માસ્ક વગર ફરતા જોવા મળે છે. રોજના ૮૦૦ કેસની સરેરાશને ૪૦૦ કેસના આંકડા સુધી લાવતાં લગભગ ૬૦ દિવસ લાગ્યા હતા. ખાસ કરીને છેલ્લા દસેક દિવસમાં પરિસ્થિતિ વણસી હતી.

ગયા સપ્ટેમ્બર મહિનામાં રોગચાળાનો જુવાળ ચરમસીમાએ હતો. એ વખતે કોરોનાના ઇન્ફેક્શનના રોજ નોંધાતા કેસની સરેરાશ ૨૦૦૦ની આસપાસ હતી. નવેમ્બર મહિનામાં થિયેટરો ખૂલતાં હતાં અને સાર્વજનિક સ્થળો વારાફરતી ખૂલી રહ્યાં હતાં ત્યારે

એ સરેરાશમાં પચાસેક ટકાનો ઘટાડો થયો હતો. એ ઘટાડાનો સિલસિલો ડિસેમ્બર મહિનામાં ચાલુ રહ્યો હતો. ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં કોરોનાના કેસની રોજિંદી સરેરાશ ૭૫૦ અને છેલ્લા અઠવાડિયામાં ૬૦૦ પર પહોંચી હતી. એ સરેરાશ જાન્યુઆરી મહિનામાં ૫૦૦ના આંકડા પર અટકી ત્યારે નિષ્ણાતોએ ઘટાડાની ગતિ ધીમી પડી જવા અને રોગચાળાનો બીજો જુવાળ - સેકન્ડ વેવ આવવાની ચેતવણી ઉચ્ચારી હતી.

નિષ્ણાતોનો અંદાજ સાચો ઠર્યો. લોકલ ટ્રેનમાં સૌને પ્રવેશની છૂટ અપાયાના એક અઠવાડિયા પછી રોજિંદી સરેરાશના આંકડામાં ઉછાળો આવ્યો હતો. ૮ ફેબ્રુઆરીએ ૩૭૫ અને બીજા દિવસે ૯ ફેબ્રુઆરીએ ૫૫૮ કેસ નોંધાયા હતા. ૧૪ ફેબ્રુઆરીએ નોંધાયેલો ૬૪૫નો આંકડો બરાબર સવા મહિના પહેલાં ૮ જાન્યુઆરીના આંકડાની બરાબરી કરતો હતો. ગયા શુક્રવારનો ૮૨૩નો આંકડો ૪ ડિસેમ્બરના આંકડાથી વધારે હતો.

કેવી રીતે પરિસ્થિતિમાં વળાંક આવ્યો?

ફેબ્રુઆરી-૧૦ (૫૯૮) - જાન્યુઆરી-૧૫ (૫૭૪)

ફેબ્રુઆરી-૧૨ (૫૯૯) - જાન્યુઆરી-૧૪ (૬૦૭)

ફેબ્રુઆરી-૧૪ (૬૪૫) - જાન્યુઆરી-૮ (૬૫૪)

ફેબ્રુઆરી-૧૭ (૭૨૧) - જાન્યુઆરી-૬ (૭૯૫)

ફેબ્રુઆરી-૧૯ (૮૨૩) - જાન્યુઆરી-૪ (૮૨૩)

૧૩૦૫ બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યાં

રોગચાળાની પરિસ્થિતિમાં ફેરફારને પગલે મુંબઈ મહાનગરપાલિકાએ પાંચ કરતાં વધારે કેસ હોય એવી હાઉસિંગ સોસાયટીઓને સીલ કરવાનું શરૂ કર્યું છે. શહેરમાં અત્યાર સુધી‍ ૧૩૦૫ બિલ્ડિંગ સીલ કરવામાં આવ્યાં છે. એમાં ૧૦૫ બિલ્ડિંગ એમ (વેસ્ટ) વૉર્ડમાં છે. એમ (વેસ્ટ) વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર પૃથ્વીરાજ ચવાણે સ્પષ્ટતા કરી હતી કે ફક્ત ૬ બિલ્ડિંગ આખાં અને બાકીનાં બિલ્ડિંગ મર્યાદિત પ્રમાણમાં સીલ કરવામાં આવ્યાં છે. ‘ડી’ વૉર્ડ (તાડદેવ-મલબાર હિલ) વિસ્તારમાં ૧૧૦ બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યાં છે. ‘ડી’ વૉર્ડના અસિસ્ટન્ટ કમિશનર પ્રશાંત ગાયકવાડે જણાવ્યું હતું કે ‘અગાઉ સીલ કરવામાં આવેલી જગ્યાઓનો આંકડો ફક્ત મકાનો માટે હતો. હવે એ આંકડામાં જ્યાં એક કે વધારે દરદી મળ્યા હોય એવા (સીલ કરવામાં આવેલા) એક-એક માળ પણ ગણ‌વામાં આવે છે.’  

coronavirus covid19 mumbai mumbai news prajakta kasale