06 April, 2020 07:35 AM IST | Mumbai | Faizan Khan
નવી દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલા મંડળમાં ઉપસ્થિત લોકોને પોલીસ માર્ગદર્શન આપે છે.
નવી મુંબઈ પોલીસે રવિવારે કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામનાર ફિલિપીન નાગરિક સહિત ફિલિપીન્સ દેશના દસ નાગરિકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. ફિલિપીન્સથી આવેલા આ નાગરિકોએ નવી દિલ્હી નિઝામુદ્દીનના મરકઝમાં હાજરી આપ્યા બાદ નવી મુંબઈમાં હોવાની પોતાની હાજરીને છુપાવી હતી.
ફિલિપીન્સ દેશથી આવેલા નાગરિકો નિઝામુદ્દીનમાં મરકઝમાં હાજરી આપ્યા બાદ દસથી ૧૬ માર્ચ સુધી વાશીમાં રહ્યા હતા અને એ દરમ્યાન તેમણે વાશીની મસ્જિદની મુલાકાત પણ લીધી હતી. વિદેશી નાગરિકોએ ભારતમાં આવ્યા પછી સ્થાનિક પોલીસને માહિતી આપવી ફરજિયાત હતી, પણ તેમણે એ છુપાવી હતી. કોરોના વાઇરસને કારણે ૬૮ વર્ષના ફિલિપીન્સના નાગરિકનું મોત થયું હતું. આ નાગરિકને મૂત્રપિંડમાં અને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતાં તેને સારવાર અપાઇ હતી. ટેસ્ટ કરાતાં તેને શરૂઆતમાં કોરોના પૉઝિટિવ આવ્યો હતો, પણ ૧૯ માર્ચે તેની તપાસમાં તેનું સ્વાસ્થ્ય સુધારા પર હતું અને તેનો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. પરંતુ ૨૩ માર્ચે તેનું મુંબઈની કસ્તુરબા હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું. તેણે જે મસ્જિદની મુલાકાત લીધી હતી એને પ્રશાસને સૅનિટાઇઝ કરી હતી. તેના સંપર્કમાં આવેલાનો રિપોર્ટ પણ પૉઝિટિવ આવ્યો હતો.