28 May, 2020 09:31 AM IST | Mumbai | Diwakar Sharma
લગભગ ૧૦,૦૦૦ મજૂરોની ભીડ
સોશ્યલ ડિસ્ટન્સિંગમાં બેદરકારી અને પરપ્રાંતીય હિજરતી, સ્થળાંતરકારી મજૂરોની હાલાકી વિશે ‘મિડ-ડે’માં પ્રકાશિત થયેલા અહેવાલ પછી શ્રમિક સ્પેશ્યલ ટ્રેનોની આશા સાથે વસઈના સનસિટી ગ્રાઉન્ડમાં એકઠા થયેલા લગભગ ૧૦,૦૦૦ મજૂરોની ભીડને બળપૂર્વક હટાવવામાં આવી હતી. હિજરતી મજૂરોએ જણાવ્યું હતું કે તેમની આવક બંધ છે. વળી તે લોકો ટ્રેન પકડવાની આશાએ ઘર ખાલી કરીને નીકળ્યા હોવાથી પાછા ઘરે જઈ શકે એમ નથી.
લગભગ ૩૦૦૦ મજૂરો આખી રાત શ્રમિક સ્પેશ્યલ ટ્રેનની પ્રતિક્ષામાં સનસિટી ગ્રાઉન્ડમાં બેઠા હતા. સવાર પડતાં ત્યાં ભીડ વધવા માંડી, પરંતુ તેમને બળપૂર્વક એ જગ્યા પરથી હટાવવામાં આવ્યા હતા. એ ગ્રાઉન્ડમાં અન્ય કામગારો પણ સૂતા હતા. પોલીસ અધિકારીઓ તે લોકોને બસોમાં બેસાડીને નાલાસોપારા, નાયગાંવ, વસઈ અને વિરારના જુદા-જુદા વિસ્તારોમાં મૂકી આવ્યા હતા. હિજરતી કામગારોએ જણાવ્યું હતું કે પોલીસે પશ્ચિમ બંગાળની ટ્રેન ગુરુવારે હોવાનું જણાવ્યું હતું, પરંતુ પછીથી પોલીસે કહ્યું કે બુધવારે હાવડા તરફની વસઈથી રવાના થનારી ટ્રેનો રદ કરવામાં આવી છે.