19 June, 2020 07:22 AM IST | Mumbai | Rajendra B Aklekar
એક ઘોડા પર કેટલાં ગૅસ-સિલિન્ડર લઈ જવાં એને માટેના પણ નિયમ છે
ટ્રેન-સર્વિસ બંધ છે અને કોઈ વાહન ઉપલબ્ધ નથી એને કારણે માથેરાનના રહેવાસીઓ તેમની જીવનજરૂરી ચીજવસ્તુઓ લાવવા માટે પ્રાણીઓના ઉપયોગ તરફ પાછા વળ્યા છે.
માથેરાનના રહેવાસીઓ માટે સેન્ટ્રલ રેલવે નૂર ટ્રેન શરૂ કરનાર સેન્ટ્રલ રેલવેએ થોડાં અઠવાડિયાં માટે ટ્રેન-સર્વિસ બંધ કરી છે અને આ ઇકો-સેન્સિટિવ ટાઉનની અંદર આવવાની પરવાનગી ધરાવતી ટ્રક્સની નોંધણી થવાની હજી બાકી છે, એને પગલે રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
જરૂરી ચીજવસ્તુઓ લાવવા માટે રહેવાસીઓએ કેવી મુશ્કેલી વેઠવી પડે છે એનું રિપોર્ટિંગ ‘મિડ-ડે’ કરી રહ્યું છે. ૬૫૦૦ રહેવાસીઓ જીવનજરૂરી ચીજવસ્તુઓના પુરવઠા માટે ૪૬૦ ઘોડા અને કેટલીક હાથલારીઓ પર નિર્ભર છે.
સ્થાનિક રહેવાસી સુનીલ શિંદેએ જણાવ્યું કે ‘ભાવમાં વધારો થવાને કારણે એક ઘોડા પર લઈ જઈ શકાતાં ગૅસ-સિલિન્ડરની સંખ્યા પર કાપ મૂકવામાં આવ્યો છે. એક ઘોડા પર હવે ચારને બદલે ફક્ત બે જ ગૅસ-સિલિન્ડર્સ લઈ જઈ શકાય છે. અમને હજી પણ જીવનજરૂરી ચીજવસ્તુઓ વાજબી બજારભાવે નથી મળી રહી.’
પ્રથમ દિવસે અમન લૉજ અને માથેરાન સ્ટેશન વચ્ચે બે ટ્રેનો આશરે ૨૭ ક્વિન્ટલ (૨૭૦૦ કિલો) વજન ધરાવતી સામગ્રીનાં ૧૦૫ પૅકેટ્સ સાથે દોડી હતી, પરંતુ દિવસો પસાર થતા ગયા તેમ-તેમ ટ્રેનનો કોઈ પ્રતિસાદ સાંપડ્યો નહીં અને એ ખાલી દોડી રહી હતી. આથી અમારે એ બંધ કરવાની ફરજ પડી, એમ સીઆર પ્રવક્તાએ જણાવ્યું હતું.
તો બીજી તરફ શિંદેએ જણાવ્યું કે ‘ટ્રેનનો સમય ખોટો હતો અને સ્થાનિક કામના કલાકો સાથે એનો મેળ બેસતો નહોતો. વધુમાં ટ્રેન માલસામાન ઉતારવા-ચડાવવા ત્રણ સ્થળોએ થોભતી હતી. માર્ગ પર વાહનોની અવરજવર હજી પણ દૂરની કલ્પના છે એથી અમે જીવનજરૂરી સામાન ઘોડા અને ટટ્ટુઓ પર લાવવા પ્રેરાયા છીએ.’