30 November, 2020 09:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર: બિપીન કોકાટે
મુંબઈમાં દિવાળી સુધી કોરોનાના નવા કેસમાં ધરખમ ઘટાડો થવાથી રાહત અનુભવાઈ હતી, પરંતુ આ તહેવારમાં મોટા પ્રમાણમાં લોકો તમામ નિયમોને નેવે મૂકીને ઘરોની બહાર નીકળ્યા બાદ પરિસ્થિતિ વણસી હોવાનું જણાયું છે. કોરોનાના નવા કેસ ૩૦૦ દિવસે ડબલ થતા હતા એમાં વધારો થયો છે. અત્યારે દર ૧૯૬ દિવસે કેસ ડબલ થઈ રહ્યા હોવાથી શહેર પર ફરી કોરોનાનું સંકટ તોળાઈ રહ્યું છે. છેલ્લા ૧૦ દિવસમાં ડબલિંગ રેટમાં ૧૦૦ દિવસનો ઘટાડો થયો છે.
મુંબઈમાં માર્ચ મહિનાથી કોરોનાએ અૅન્ટ્રી માર્યા બાદથી વચ્ચેના થોડા સમય સુધી સ્થિતિ કાબૂમાં રહી હતી, પરંતુ ફરી નવા કેસમાં વધારો થયો હોવાનું જણાઈ આવ્યું છે. મુંબઈના મેયર કિશોર પેડણેકરે આ વિશે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘દિવાળીમાં બજારમાં ગિરદી થઈ હતી અને હવે બધું અનલૉક થયું છે. મંદિરો ખૂલી ગયાં છે. આથી મુંબઈમાં કોરોનાના ઘટી રહેલા આંકડા ફરી વધશે એનો અંદાજ હતો. કેસ ડબલિંગનો રેટ ૩૦૦ દિવસથી ૧૯૬ દિવસ થયો છે એ ચિંતાજનક છે. મુંબઈગરાઓએ હજી પણ સાવધાન રહેવાની જરૂર છે. જે નિયમ છે એનું કડક પાલન કરવું જોઈએ.