31 December, 2015 05:31 AM IST |
સૈફી બુરહાની અપલિફ્ટમેન્ટ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવેલા આશરે ૪૦૦૦ કરોડ રૂપિયાના ભીંડીબજાર રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનું બાંધકામ ડૉ. સૈયદના મહમ્મદ બુરહાનુદ્દીન (RA)ની બીજી પુણ્યતિથિએ ગઈ કાલે શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ સ્વ. સૈયદના મહમ્મદ બુરહાનુદ્દીનની સંકલ્પના છે. સદ્ગતના પુત્ર અને ઉત્તરાધિકારી ડૉ. સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન (TUS) દ્વારા આગળ લઈ જવામાં આવી રહ્યો છે. તેમણે જાહેર કર્યું હતું કે ‘આ સબ-ક્લસ્ટર ૧ અને ૩ સાથે અન્ય સબ-ક્લસ્ટરોનું બાંધકામ હવે યુદ્ધના ધોરણે પાર પાડવામાં આવશે, જેથી પ્રકલ્પથી બાધિત પરિવારો અને વેપારીઓ સમયસર ફરીથી ઠરીઠામ થાય અને તેમનું પુનર્વસન થાય. આ અપલિફ્ટમેન્ટ પ્રોજેક્ટ આધ્યાત્મિક વાતાવરણ પૂરું પાડીને વૃદ્ધિ અને મોકળાપણું પ્રેરિત કરવા સાથે આધ્યાત્મિક, બૌદ્ધિક, સામાજિક અને નાણાકીય એમ બધાં જ પાસામાં લોકોના આરોગ્ય અને કલ્યાણ માટે તરફેણજનક બની રહેશે.’
સબ-ક્લસ્ટર ૧ અને ૩ પર બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે અને અન્ય સબ-ક્લસ્ટર પર ટૂંક સમસમયાં તબક્કાવાર બાંધકામ શરૂ થશે. હાલમાં ૭૦ જર્જરિત ઇમારતો તોડી પાડવામાં આવી છે અને લગભગ ૧૭૦૦ પરિવારો અને ૪૦૦ વેપારીઓને ભીંડીબજારમાંથી અન્યત્ર ખસેડવામાં આવ્યા છે.
આ પ્રોજેક્ટને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વખાણ્યો છે અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ ઝડપી અમલ થાય એની ખાતરી રાખવા માટે અંગત ધ્યાન આપ્યું છે.
આ મહત્વાકાંક્ષી અપલિફ્ટમેન્ટ પ્રોજેક્ટ ૧૬.૫ એકરમાં પથરાયેલો છે, જેમાં અત્યારે ૨૫૦ જર્જરિત મકાનો, ૩૨૦૦ પરિવારો અને ૧૨૫૦ દુકાનો છે. એ સૌને ૧૭ નવાં મકાનોમાં અત્યાધુનિક સક્ષમ વિકાસમાં સમાવી લેવામાં આવશે; જ્યાં પહોળા રસ્તા, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વધુ ખુલ્લી જગ્યા, ઉચ્ચ દૃષ્ટિગોચર વ્યાવસાયિક ક્ષેત્રો તેમને મળશે.