21 July, 2021 10:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અદાણી ઍરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડે મુંબઈ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટનું વ્યવસ્થાપન પોતાના હસ્તક લીધું એના દિવસો બાદ મહારાષ્ટ્ર કૉન્ગ્રેસે એએએચએલનું હેડક્વૉર્ટર અમદાવાદ ખસેડવાના કંપનીના નિર્ણયની ટીકા કરીને આ પગલાને મુંબઈનું મહત્ત્વ ઘટાડવાનો હેતુપૂર્વકનો પ્રયાસ ગણાવ્યો હતો.
ગ્રુપની ઍરપોર્ટ વ્યવસાય માટેની ફ્લૅગશિપ કંપની અને અદાણી એન્ટરપ્રાઇઝિસની પૂર્ણ માલિકીની પેટાકંપની એએએચએલે ગયા સપ્તાહે મુંબઈ ઍરપોર્ટ ઇન્ટરનેશનલ ઍરપોર્ટ લિમિટેડ (એમઆઇએએલ) જીવીકે ગ્રુપ પાસેથી પોતાના હસ્તક લીધું હતું.
ઉપરાંત જૂથે એએએચએલની હેડ ઑફિસ મુંબઈથી અમદાવાદ ખસેડવાનો નિર્ણય લીધો હતો, જેને વખોડતાં મહારાષ્ટ્ર કાન્ગ્રેસના પ્રવક્તા સચિન સાવંતે મંગળવારે ટ્વીટ કર્યું હતું, ‘મહારાષ્ટ્રની જનતા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એક સંદેશ છે. ઍરપોર્ટ પર યોજાયેલો દાંડિયા ડાન્સ ઘણુંબધું કહી જાય છે. મુંબઈનું મહત્ત્વ ઘટાડવા માટે છેલ્લાં સાત વર્ષથી થઈ રહેલા રીતસરના પ્રયાસોનો આ એક ભાગ છે.’
મહારાષ્ટ્રએ કદી કોઈ ઉદ્યોગ કે ઉદ્યોગપતિ વચ્ચે ભેદ રાખ્યો નથી. ઘણા ઉદ્યોગપતિઓ મહારાષ્ટ્ર આવ્યા અને રાજ્યનો ભાગ બન્યા. મુંબઈ ઍરપોર્ટ અગાઉ આંધ્રપ્રદેશસ્થિત જીવીકે કંપની પાસે હતું. કંપનીએ કદી તેનું હેડક્વૉર્ટર આંધ્ર પ્રદેશમાં ખસેડ્યું નહોતું કે ત્યાં કુચીપુડી ડાન્સ પણ યોજ્યો નહોતો એમ સાવંતે ટ્વીટ કર્યું હતું.