22 August, 2025 07:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દેવેન્દ્ર ફડણવીસે
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કૉર્પોરેટ સેક્ટરની અને ખાનગી કંપનીઓને તેમની કૉર્પોરેટ સોશ્યલ રિસ્પૉન્સિબિલિટી (CSR) હેઠળ કરવામાં આવતી સામાજિક સેવાની પ્રવૃત્તિઓનું ફોકસ અર્બન વિસ્તારથી હટાવીને રૂરલ વિસ્તાર તરફ ખસેડવા જણાવ્યું છે. તેમણે અપીલ કરતાં કહ્યું હતું કે સરકાર સાથે મળીને જો આ સામાજિક પ્રવૃત્તિઓ ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવે તો ગ્રામ્ય વિસ્તારનું ટ્રાન્સફૉર્મેશન થઈ શકે.
મહારાષ્ટ્ર વિલેજ સોશ્યલ ટ્રાન્સફૉર્મેશન ફાઉન્ડેશન (VSTF)ની પાંચમી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકના અધ્યક્ષપદેથી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘હવે જે ફેઝ છે એમાં સર્વસમાવિષ્ટ, સૌથી નીચેના સ્તરને પણ અસર કરે એવી અને પરિણામકારક પ્રવૃત્તિ કરવાની છે જેમાં સરકારી પૉલિસીઓના સમાવેશ સાથે પ્રાઇવેટ કંપનીઓનો પણ સહકાર જોઈશે. CSRની પ્રવૃત્તિઓ ફક્ત શહેરો સુધી સીમિત ન રહેવી જોઈએ. આપણે અવિકસિત વિસ્તારોમાં સાથે મળી કામ કરવું પડશે જેથી એમાં ચોક્કસ બદલાવ લાવી શકાય. રૂરલ ટ્રાન્સફૉર્મેશનમાં ફક્ત યોજનાઓ ચાલુ કરાય એવું નથી, પણ તેમનામાં માલિકીની ભાવના જગાડીને તેમની કાબેલિયતને વધારવાની છે અને આ મોમેન્ટમને જાળવી રાખવાનું છે.’
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘VSTFના પહેલા તબક્કામાં એવું બન્યું કે એમાં પણ પૉઝિટિવ રિઝલ્ટ મળ્યાં, પણ જેવા કાર્યકરો એ ગ્રામ્ય વિસ્તારથી પાછા ફર્યા કે ત્યાંની એ પ્રવૃત્તિઓ ધીમી પડી ગઈ. એથી હવે ત્યાંના જ લોકો એ પ્રવૃત્તિ સંભાળી શકે, આગળ ધપાવી શકે એવી વ્યવસ્થા કરવાની છે.’