06 August, 2012 05:23 AM IST |
આ કૌભાંડ ગયા મહિને બિનનિવાસી ભારતીય તેમ જ રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરતી કંપની એસકે બ્રધર્સના માલિક સુનીલકુમારના પ્રયાસોને કારણે પ્રકાશમાં આવ્યું હતું. બે વર્ષ પહેલાં સુનીલકુમારે પામ બીચ અને વાશીનાં કેટલાંક બિલ્ડિંગોમાં ૧૨ ફ્લૅટ બુક કરાવ્યા હતા. તેમણે જ્યારે બિલ્ડર પાસે ઓરિજિનલ પ્લાન માગ્યો ત્યારે તેમને આ પ્લાન નહોતો આપવામાં આવ્યો. આખો મામલો શંકાસ્પદ લાગતાં સુનીલકુમારે માહિતીના અધિકાર હેઠળ સિડકો અને એનએમએમસી પાસે આ બિલ્ડિંગના ઓરિજિનલ પ્લાન માગ્યા હતા અને તેમને એ જાણીને ભારે આંચકો લાગ્યો હતો કે ઓરિજિનલ પ્લાન તો સાવ અલગ જ હતો. દરેક બિલ્ડિંગમાં ૪૦ ટકા વધારે એફએસઆઇનો વપરાશ કરવામાં આવ્યો છે. પોતાના અનુભવ વિશે વાત કરતાં સુનીલકુમારે કહ્યું હતું કે ‘ઑર્બિટ મૉલ, સિટી સેન્ટર મૉલ, પામ બીચ ગૅલેરિયા મૉલ, ફૉચ્યુર્ન મૉલ અને શ્રીજી હાઇટ્સ જેવી ઇમારતોના બિલ્ડરોએ પણ નિયમોનો ભંગ કરીને રિયલ એફએસઆઇ કરતાં ચાલીસ ટકા વધારે એફએસઆઇમાં બાંધકામ કર્યું છે. આ અનુભવ પછી મેં નવી મુંબઈની તમામ ઇમારતો વિશે માહિતી મેળવવાનું નક્કી કર્યું હતું.’
આ ઇરાદા પછી જ્યારે સુનીલકુમારે માહિતીના અધિકાર મારફત નવી મુંબઈની બધી ઇમારતોના પ્લાન મગાવ્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો હતો કે બધા બિલ્ડરો બાંધકામ કરતી વખતી તેમને મંજૂરી મળી હોય એના કરતાં ૪૦ ટકા વધારે એફએસઆઇનો ઉપયોગ કરે છે. સુનીલકુમારે આ દરેક ઇમારતના ઓસીની મંજૂરી વિશે પૂછપરછ કરવામાં સાત લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને ત્યારે તેમને જાણવા મળ્યું છે કે આ ઓસી સર્ટિફિકેટ માર્કેટિંગ બ્રોશર કરતાં સાવ અલગ છે.
આ અનુભવ પછી સુનીલકુમારે નવી મુંબઈના બિલ્ડરો વિરુદ્ધ એનએમએમસી કમિશનર, નવી મુંબઈના પોલીસ-કમિશનર, મુખ્ય પ્રધાન અને હોમ-મિનિસ્ટરને ફરિયાદ કરી હતી; પણ નક્કર પરિણામ નહોતું મળ્યું અને તેમનો આરોપ છે કે તેમની આ સક્રિયતાને કારણે તેમને ટોચના પોલીસ-અધિકારીઓ અને એનએમએમસીના ઉચ્ચ અધિકારીઓ તરફથી ધમકી મળી રહી છે.
સિડકોનું શું કહેવું છે?
સિડકોના મૅનેજિંગ ડિરેક્ટર તાનાજી સત્રે તેમ જ એનએમએમસીના કમિશનર ભાસ્કર વાનખેડેએ તેમને આવી કોઈ પિટિશન વિશે માહિતી હોવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. પામ બીચ ગૅલેરિયા મૉલના માલિક વિજય ગજરાએ, સિટી સેન્ટર અને શ્રીજી હાઇટ્સના માલિક ભરતભાઈએ તેમ જ ફૉચ્યુર્ન હોટેલના મૅનેજરે આ વિશે કંઈ પણ કહેવાની ના પાડી દીધી હતી.