13 October, 2021 05:17 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શરદ પવાર. ફાઇલ તસવીર
રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે દાવો કર્યો છે કે CBI, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) સહિતની કેન્દ્રીય એજન્સીઓનો વિપક્ષને નિશાન બનાવવા માટે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર સાથે જોડાયેલી સંસ્થાઓ પર આવકવેરા વિભાગના દરોડાનો ઉલ્લેખ કરતા એનસીપી પ્રમુખે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, એજન્સીઓના કર્મચારીઓ છઠ્ઠા દિવસથી દરોડા પાડી રહ્યા છે, જે ખૂબ જ અસામાન્ય છે.
ED, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) અને NCB સહિતની કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે મુંબઈ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ સેલે NCB કરતાં વધુ સારું કામ કર્યું છે. NCP, જે મહારાષ્ટ્રમાં શિવસેના અને કોંગ્રેસ સાથે સત્તામાં છે, તેણે અગાઉ કહ્યું હતું કે તે તેના નેતાઓ પર કેન્દ્રીય એજન્સીઓના આક્રમણનો સામનો કરશે અને કાર્યકર્તાઓ સંપૂર્ણ જોશમાં રહેશે.
આઈટી વિભાગે રાજ્યમાં એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવારના સંબંધીઓ સાથે જોડાયેલી સંસ્થાઓ પર દરોડા પાડ્યા હતા. એનસીપીના વરિષ્ઠ નેતા અને પૂર્વ રાજ્ય મંત્રી અનિલ દેશમુખ પણ અનેક આરોપોમાં કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તપાસનો સામનો કરી રહ્યા છે. NCBએ તાજેતરમાં કેટલાક હાઇપ્રોફાઇલ લોકોને ત્યાં દરોડા પાડ્યા હતા.
ઉલ્લેખનીય છે કે મુંબઈ કિનારે ક્રૂઝ પર તાજેતરના ડ્રગ્સ કેસ, જેમાં બોલીવુડ સુપરસ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ કરી હતી, તે સિવાય NCBએ ગયા વર્ષે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં ઘણા અન્ય હાઈ પ્રોફાઇલ લોકોની પણ તપાસ કરી હતી.