19 March, 2020 12:16 PM IST | Mumbai Desk | Gaurav Sarkar
ચર્ચની બહાર ઊભા રહીને પ્રાથર્ના કરતા શ્રદ્ધાળુઓ. તસવીર : પ્રદીપ ધિવાર
કોવિડ-૧૯ રોગચાળાના પ્રસારને જોતાં લોકોના મેળાવડા અને સામાજિક સંપર્કનું પ્રમાણ ઘટાડવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખતાં બૉમ્બે કાર્ડિનલ ઓસ્વાલ્ડ ગ્રેસિયાસના આર્કડીઓસિઝે બુધવારે કૅથલિક શ્રદ્ધાળુઓને ૩૧ માર્ચ સુધી ચર્ચની સન્ડે માસમાં ઉપસ્થિત રહેવામાંથી મુક્તિ આપી હતી.
આર્કડીઓસિઝની ઑફિસ દ્વારા જારી કરવામાં આવેલા પરિપત્રમાં કાર્ડિનલ ઓસ્વાલ્ડ ગ્રેસિયાઝે બીમાર હોય તેવા અથવા તો જેમની મેડિકલ સ્થિતિ યોગ્ય ન હોય તેવા લોકોને પણ સનડે માસ માટે ચર્ચ પર ન આવવા અનુરોધ કર્યો હતો. એ જ રીતે તાવ આવતો હોય, શરદી અને ખાંસી હોય તેમ જ ૬૦ વર્ષ કરતાં વધુ વય ધરાવનારા લોકોને પણ ન આવવા માટે વિનંતી કરવામાં આવી હતી. આર્કડીઓસિઝની ઑફિસે દરેક વ્યક્તિને હળવા-મળવાનું ઓછું કરીને શક્ય એટલું ઘરમાં રહેવાની સલાહ આપી હતી.
આર્કડીઓસિઝ ઑફ બૉમ્બેના પ્રવક્તા ફાધર નાઇજેલ બેરેટના જણાવ્યા પ્રમાણે ‘સરકારે ૩૧ માર્ચ સુધી સામાજિક અલગતાની ભલામણ કરી છે. વૃદ્ધ વ્યક્તિઓ આ વાઇરસનો વધુ ભોગ બને છે. આપણે જવાબદાર નાગરિકો બનવું પડશે. દર રવિવારે ઑનલાઇન સેવાઓ હશે જે આર્કડીઓસિઝ ઑફ બૉમ્બેની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.’