24 May, 2026 10:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
બાંદરા-ઈસ્ટના ગરીબનગરમાં મંગળવારથી ચાલી રહેલા રેલવેની જમીન પર ઊભાં થઈ ગયેલાં ગેરકાયદે બાંધકામોના ડિમોલિશનનો ગઈ કાલે અંત આવ્યો હતો. ગઈ કાલે વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર વિનીત અભિષેકે જણાવ્યું હતું કે ‘એલિજિબલ ૧૦૦ જેટલાં બાંધકામોમાંથી કેટલાકના ઉપરના માળ, જેના ગ્રાઉન્ડ ફ્લોર બૉમ્બે હાઈ કોર્ટે રેલવેને જાળવી રાખવા કહ્યું હતું એ ગઈ કાલે ડિમોલિશન ઝુંબેશના પાંચમા અને છેલ્લા દિવસે તોડી પાડવામાં આવ્યા હતા. બૉમ્બે હાઈ કોર્ટે અધિકારીઓને ૧૦૦ બાંધકામોને સંપૂર્ણપણે તોડી ન પાડવાનો નિર્દેશ આપ્યો હતો. એ મુજબ એ બાંધકામોના ગ્રાઉન્ડ ફ્લોર જાળવી રાખવામાં આવ્યા છે, જ્યારે ઉપરના માળ તોડી પાડવામાં આવ્યા છે. એની સાથે જ કાટમાળ દૂર કરવાનું કામ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે અને પાંચ દિવસની ડિમોલિશન ઝુંબેશ દરમ્યાન સાફ કરાયેલા વિસ્તારમાં ફેન્સિંગ અને બૅરિકેડિંગનું કામ પણ કરવામાં આવી રહ્યું છે.’