મીરા રોડમાં ઇમારત રંગવા બાંધેલો માંચડો તૂટતાં અકસ્માત

30 September, 2011 08:43 PM IST  | 

મીરા રોડમાં ઇમારત રંગવા બાંધેલો માંચડો તૂટતાં અકસ્માત

 

તસવીર : પ્રમોદ દેઠે

 

૧૪મા માળેથી પટકાતાં છ મજૂરોનાં મૃત્યુ, ત્રણ ગંભીર રીતે ઘાયલ


મીરા રોડ (ઈસ્ટ)ના રામદેવ પાર્ક વિસ્તારમાં ઇન્દ્રલોક ફેઝ-૩, સર્વે ક્રમાંક-૨૪૦, ૮-અ, ૮-બમાં સિદ્ધિવિનાયક ટાવર નામની ૧૪ માળની ઇમારતનું બાંધકામ પૂÊરું થઈ ગયું હોવાથી એનું કલરનું કામ શરૂ હતું. ગઈ કાલે બપોરે ૩.૨૦ વાગ્યાની આસપાસ ઇમારતના કલરકામ માટે બનાવવામાં આવેલા માંચડા પર ૧૧ જણ ચડ્યા હતા. કામ ચાલુ હતું ત્યારે અચાનક લાકડાનો બનેલો આ માંચડો તૂટી પડતાં અમુક કામ કરવાવાળા જમીન પર પટકાયા હતા અને જગ્યા પર જ તેમનું મૃત્યુ થયું હતું. એક-બે જણ તો લાકડાના માંચડામાં લટકી રહ્યા હતા.

આ દુર્ઘટનામાં ગઈ કાલે મોડી રાત સુધીમાં ૬ જણનાં મોત થયાં હતાં અને ૩ જણને ઈજા થઈ હતી. મસ્તાન, કસલપ્પા અને હનુમંતા આ ત્રણેય ઘાયલ થયેલા કામગારોને મીરા રોડની ઉમરાવ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૨૩ વર્ષના મોન્ïનપરમ ગોવિંદ ઇતપ્પા, ૨૬ વર્ષના નરેશ નરસિંહ દાબા, ૨૮ વર્ષના માશપ્પા દેવૈયા, ૨૨ વર્ષના રાજુ શેરલા, ૪૦ વર્ષના નારાયણ સંવગાનાં મૃત્યુ થયાં હતાં. ચિનપ્પા નામના કામગારની હાલત વધુ ખરાબ થતાં તેનું પણ ગઈ કાલે મોડી રાત્રે અવસાન થયું હતું. ઘટનાસ્થળની મુલાકાત લેવા ઉપમહાપોર જયંત પાટીલ અને ઉપાયુક્ત સુધીર રાઉત આવી પહોંચ્યા હતા.
આ સંદર્ભે મીરા-ભાઈંદર મહાનગરપાલિકાના ઉપાયુક્ત સુધીર રાઉતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બનાવ બન્યો એનાથી હું દુ:ખી છું. આ બનાવ બાદ હવે મહાનગરપાલિકા બાંધકામ કરવાની પરવાનગી રદ કરશે.’

આ સંદર્ભે ડીવાયએસપી દેશપાંડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ દુર્ઘટના બાદ અમે બિલ્ડર સામે આઇપીસી કલમ ૩૦૪ હેઠળ સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો હતો.