સફરનાં સાથી બનશે પુસ્તકો

25 January, 2022 07:43 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

નવી મુંબઈ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ બસોમાં પ્રવાસીઓને સફરમાં વાંચવા બુક-શેલ્ફ મૂકવામાં આવ્યાં છે

હાલમાં પુસ્તકો અંગ્રેજી, મરાઠી અને હિન્દીમાં છે, માગ મુજબ વધુ ભાષાઓની બુક્સ ઉમેરાશે.

નવી મુંબઈ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ (એનએમએમટી)એ ગઈ કાલે ‘બુક્સ ઑન બસ’ પહેલની શરૂઆત કરી હતી. લાંબા અંતરની બસોમાં હવે નાની બુક-શેલ્ફ હશે, જેને મુસાફરો તેમની મુસાફરીના સમયમાં વાંચી શકશે. 
શરૂઆતમાં આ પ્રોજેક્ટ બેલાપુર-મંત્રાલય, બેલાપુર-કલ્યાણ અને બેલાપુર-બાંદરા રૂટ પરની ઍરકન્ડિશન્ડ બસમાં શરૂ કરવામાં આવ્યો છે, જો મુસાફરોનો હકારાત્મક પ્રતિભાવ સાંપડશે તો ૧૦૦૦ કરતાં વધુ બસમાં આ પ્રોજેક્ટ શરૂ થશે. 
જ્યારે લોકો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ તરફ આકર્ષાઈ રહ્યા છે એવા સમયમાં લેટ્સ રીડ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલા આ પ્રોજેક્ટનો ઉદ્દેશ લોકોમાં વાંચનની ટેવ કેળવવાનો છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલમાં આ પુસ્તકો અંગ્રેજી, મરાઠી અને હિન્દી ભાષામાં છે, પરંતુ જો મુસાફરોનો સારો પ્રતિસાદ મળશે તો અન્ય ભાષાનાં પુસ્તકોનો પણ સમાવેશ થશે. લોકોમાં વાંચનની ટેવ ફરી કેળવવાના ઉદ્દેશથી આ પહેલ શરૂ કરવામાં આવી છે. 
લગભગ ૧૦-૧૫ વર્ષ પહેલાં પ્રવાસ દરમ્યાન લોકો બારીની બહાર જોતા કે પછી પુસ્તકો કે અખબાર વાંચતા જોવા મળતા હતા. જોકે હવે બધા મોબાઇલ ફોનમાં ડૂબેલા હોય છે. લોકોમાં કોઈ રીતે વાંચનની આદત કેળવવાના હેતુથી અમે લાંબા અંતરની બસોમાં આ પ્રયાસ કર્યો છે, જેથી મુસાફરો પ્રવાસના સમયમાં પોતાની પસંદગીનાં પુસ્તકો વાંચી શકે છે. 
મંત્રાલય, કલ્યાણ અને બાંદરાના રૂટ પરની એનએમએમટીની બસોને લગભગ એકથી દોઢ કલાકનો સમય લાગે છે, પુસ્તકો આ પ્રવાસમાં ખૂબ ઉપયોગી સાબિત થશે એમ નવી મુંબઈ મ્યુનિસિપલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું. 
અધિકારીઓએ જણાવ્યું હતું કે પુસ્તકો ઉપરાંત લોકો ક્યુઆર કોડ સ્કૅન કરીને પોતાની સીટ પરથી જ પસંદગીની વાચનસામગ્રી પોતાના સ્માર્ટફોન પર મેળવી શકશે. 
મુસાફરો માટે તેમણે વાંચેલાં પુસ્તકો પર પોતાનું ફીડબૅક આપવાની પણ જોગવાઈ કરી છે. 
લેટ્સ રીડ ફાઉન્ડેશને ગયા વર્ષે લાઇબ્રેરી ઑન વ્હીલ્સ શરૂ કરી હતી, જેમાં એક  પુસ્તક ભરેલી વૅન સુવિધાઓનો અભાવ ધરાવતા દૂરના વિસ્તારોમાં જાય છે. 
પ્રાથમિક ઉદ્દેશ વૉટ્સઍપ અને સોશ્યલ મીડિયા જનરેશનને કોઈ રીતે પુસ્તકો તરફ પાછા લાવવાનો અને તેમની વચ્ચે વાંચનની આદત અને સંસ્કૃતિને પુનર્જીવિત કરવાનો હતો.

Mumbai mumbai news navi mumbai rajendra aklekar