20 October, 2020 11:06 AM IST | Mumbai | Agency
અર્નબ ગોસ્વામી
બૉમ્બે હાઈ કોર્ટે ગઈ કાલે મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચને કહ્યું હતું કે ટીઆરપી કેસમાં રિપબ્લિકન ટીવીના અર્નબ ગોસ્વામી સામે જો તમે કાયદેસરનો આરોપ મૂકવા માગતા હો તો તમે આ કેસના અન્ય આઠ આરોપીઓને જે રીતે પહેલાં સમન્સ મોકલાવ્યું છે એવું સમન્સ તેને પણ મોકલાવો.
બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ એસ. એસ. શિંદે અને જસ્ટિસ એમ. એસ. કર્ણિકની બેન્ચે રિપબ્લિકન ટીવીની માલિકી ધરાવતી એઆરજી આઉટલિયર મીડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરાયેલી અરજીની સુનાવણી કરતાં વધુમાં કહ્યું હતું કે તમે (ક્રાઇમ બ્રાન્ચ) અર્નબ ગોસ્વામીને સમન્સ મોકલશો તો એ તમારી સામે હાજર થઈ તપાસમાં સહકાર આપશે. કોર્ટે વધુમાં કહ્યું હતું કે એફઆઇઆર કાંઈ એન્સાઇક્લોપીડિયા નથી કે અમને બધું જ એમાંથી જાણવા મળે. અત્યાર સુધી તમને તપાસમાં શું હાથ લાગ્યું છે એનો અહેવાલ અમને બંધ કવરમાંપાંચમી નવેમ્બર સુધી આપો અને અમે પણ જોઈશું કે આજથી આવતી સુનાવણી દરમ્યાન તમે
શું તપાસ કરી છે?
ટીઆરપી કેસમાં ૬ ઑક્ટોબરે એફઆઇઆર નોંધાયો છે, જેમાં અર્નબ ગોસ્વામીને પણ આરોપી દર્શાવાયો છે. એઆરજી આઉટલિયર મીડિયા દ્વારા કરાયેલી અરજીમાં પહેલાં તો એ એફઆઇઆર રદ કરવાનો અનુરોધ કરાયો છે અથવા એની યોગ્ય તપાસ થાય એ માટે એ કેસની તપાસ સીબીઆઇને સોંપવાની વિનંતી કરાઈ છે.