17 January, 2022 02:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નિતિશ રાણે (ફાઈલ ફોટો)
મહારાષ્ટ્ર (Maharashtra)ના ભારતીય જનતા પાર્ટી (Bharatiya janata party)ના ધારાસભ્ય અને કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર નિતેશ રાણેને આજે બોમ્બે હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. હત્યાના કથિત પ્રયાસના કેસમાં કોર્ટે આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. જોકે કોર્ટે અન્ય સહઆરોપી મનીષ દલવીને આગોતરા જામીન મંજૂર કર્યા હતા. નિતેશ રાણે પર સંતોષ પરબ (44) નામના વ્યક્તિની હત્યાનો આરોપ છે.
સિંધુદુર્ગ જિલ્લા સેશન્સ કોર્ટે પણ અરજી ફગાવી દીધી હતી
આ પહેલા નિતેશ રાણેએ ધરપકડથી બચવા માટે સિંધુદુર્ગ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. પરંતુ કોર્ટે નિતેશ રાણેની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. આ પછી હવે નિતેશ રાણે પર ધરપકડની તલવાર લટકી રહી છે.
શું છે સમગ્ર મામલો?
વાસ્તવમાં આ સમગ્ર મામલો શિવસેનાના કાર્યકર સંતોષ પરબ પર થયેલા જીવલેણ હુમલા સાથે જોડાયેલો છે. શિવસેનાનો આરોપ છે કે સંતોષ પરબ નામના તેના એક કાર્યકર્તા પર નિતેશ રાણેએ હુમલો કર્યો હતો. નિતેશ રાણેએ શિવસેના દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ફગાવ્યા હતા અને કહ્યું હતું કે જ્યારે હુમલો થયો ત્યારે સંતોષ પરબ ઘટનાસ્થળે હાજર ન હતા.
સરકારી વકીલે કરી આવી માગ
અગાઉ, સેશન્સ કોર્ટમાં સરકાર પક્ષે હાજર થતાં એડવોકેટ પ્રદીપ ઘરતે જણાવ્યું હતું કે, આરોપી રસુખ પરિવારનો છે અને તે તપાસમાં સહકાર આપી રહ્યો નથી, તેથી તેની કસ્ટોડિયલ પૂછપરછ કરવી જોઈએ. સરકારી વકીલે નિતેશ રાણેનો મોબાઈલ જપ્ત કરવાની માગ પણ ઉઠાવી હતી.