18 January, 2021 09:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૌરભ લક્ષ્મીચંદ ધરોડ
મલાડ (વેસ્ટ)ની નડિયાદવાલા કૉલોની-નંબર ૧ના ઓમ ગોપાલ બિલ્ડિંગમાં રહેતા ૨૯ વર્ષના સૌરભ લક્ષ્મીચંદ ધરોડનો મૃતદેહ શુક્રવારે સવારે ૧૧ વાગ્યાની આસપાસ ગોરેગામ અને મલાડ વચ્ચે પાટા પરથી મળી આવ્યો હતો. અત્યારે તો બોરીવલી રેલવે પોલીસ આકસ્મિક મૃત્યુનો કેસ નોંધીને અકસ્માતના બનાવ વિશેની તપાસ કરી રહી છે.
મૂળ કચ્છના મુન્દ્રા તાલુકાના પત્રી ગામના કચ્છી વીસા ઓસવાળ સમાજના લક્ષ્મીચંદ ધરોડ પહેલાં નવી મુંબઈ વાશીમાં રહેતા હતા અને થોડા જ વખતથી મલાડમાં રહેવા આવ્યા હતા.
લક્ષ્મીચંદભાઈ એપીએમસી માર્કેટમાં જૉબ કરતા હતા, જ્યારે સૉફ્ટવેર એન્જિનિયર સૌરભ એક ફેમસ કૉર્પોરેટ કંપનીમાં કામ કરતો હતો.
બોરીવલી પોલીસના કહેવા મુજબ સૌરભનો મૃતદેહ મલાડ-ગોરેગામની વચ્ચે પાટાની બાજુમાં મળી આવ્યો હતો. તેમણે એનો તાબો લઈ પરિવારને જાણ કરી હતી અને તેના મૃતદેહને ભગવતી હૉસ્પિટલમાં પોસ્ટ મૉર્ટમ માટે મોકલાવ્યો હતો.