મુંબઈ મિત્ર બનો, આપદા મિત્ર બનો

22 January, 2023 08:48 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

દુર્ઘટના વખતે સ્થાનિક લોકો બચાવકાર્ય કરી શકે એ માટે બીમએમસી દ્વારા ૧૮થી ૪૦ વર્ષની ઉંમરના યુવાનોને એ માટેની ટ્રેઇનિંગ આપવામાં આવશે. ૧૨ દિવસનો આ કોર્સ મફત કરાવવામાં આવશે અને એ કરનારને સર્ટિફિકેટ અને આઇડી કાર્ડ પણ મળશે

મુંબઈ મિત્ર બનો, આપદા મિત્ર બનો

મુંબઈ : સખત ટ્રાફિક અને ગીચતા ધરાવતા મુંબઈમાં જો કોઈ ઍક્સિડન્ટ થાય, આગ લાગે, કોઈ મકાન તૂટી પડે કે પછી પૂર જેવી કુદરતી આફત આવે તો ઘટનાસ્થળે પહોંચતાં ફાયર બ્રિગેડને થોડોઘણો તો સમય લાગે જ છે. સ્થાનિક લોકો એ વખતે હોનારતનો ભોગ બનેલા લોકોને બચાવવાના પોતાનાથી બનતા પ્રયાસ કરતા જ હોય છે, પણ તેમણે એ બાબતની ટ્રેઇનિંગ લીધી ન હોવાથી ક્યાંથી શરૂઆત કરવી અને કઈ બાબતોનું ધ્યાન રાખવું એ વિશેની ગતાગમ હોતી નથી. એથી થોડી વાર બાદ એ પ્રયાસ પડતા મુકાતા હોય છે અને દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોને ખરેખર મદદ મળે ત્યાં સુધીમાં ઘણી વાર મોડું થઈ ગયું હોય છે. આવી પરિસ્થિતિમાં જો સ્થાનિકમાં જ રહેતા યુવાનોએ આનું પ્રશિક્ષણ લીધું હોય તો તેઓ કામ આવી શકે અને અણીના સમયે મદદ પણ કરી શકે. એટલું જ નહીં, ફાયર બ્રિગેડને અને બચાવકાર્ય કરતી અન્ય એજન્સીઓને પણ મદદ કરી શકે અને જાનમાલનું મોટું નુકસાન થતું અટકાવી શકાય.

આવા નેક ઉદ્દેશ સાથે મુંબઈ મહાનગરપાલિકાના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટે હવે ૧૮થી ૪૦ વર્ષની ઉંમરના યુવાનોને એ માટેની બાકાયદા ટ્રેઇનિંગ આપીને ‘આપદા મિત્ર’ બનાવવાનું નક્કી કર્યું છે. એટલું જ નહીં, બીમએમસી દ્વારા આ ૧૨ દિવસનો કોર્સ મફત કરાવવામાં આવશે અને એ કરનારને સર્ટિફિકેટ પણ મળશે. વળી ટ્રેઇનિંગ દરમિયાન આખા દિવસની ખાવા-પીવાની વ્યવ્યસ્થા એમની રહેશે અને ઉપરથી આવવા-જવાનું રોજનું ૧૫૦ રૂપિયા સ્ટાઇપન્ડ પણ આપશે. નૅશનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટી અને સ્ટેટ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ઓથૉરિટીના નિર્દેશ હેઠળ મુંબઈ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ દ્વારા એના પરેલમાં આવેલા ટ્રેઇનિંગ સેન્ટરમાં આ કોર્સ કરાવવામાં આવશે. એમાં મુંબઈ જિલ્લો અને મુંબઈ ઉપનગર જિલ્લો એમ દરેકના ૫૦૦ મળીને કુલ ૧૦૦૦ યુવાનોને ટ્રેઇનિંગ આપવામાં આવશે. ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના પ્રમુખ રશ્મિ લોખંડેએ આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે સાતમી  સુધી ભણેલી કોઈ પણ વ્યક્તિ આ માટે ૧૨ ફેબ્રુઆરી સુધીમાં અપ્લાય કરી શકે છે.

આ ટ્રેઇનિંગ અંતર્ગત પૂરબચાવ, શોધ અને બચાવકાર્ય, પ્રથમ ઉપચાર, સીપીઆર અને પ્રાથિમક સ્તરનું અગ્નિશમન કઈ રીતે કરવું એની તાલીમ આપવામાં આવશે. કોર્સ કર્યા બાદ એ બદલનું સર્ટિ​ફિકેટ અને આપદા મિત્રનું આઇડી કાર્ડ પણ આપવામાં આવશે. ઇચ્છુક લોકો આ માટે 022-2264725/26/27 નંબર પર અથવા co.dm@mcgm.gov.in  પર સંપર્ક કરી શકે છે.

મુંબઈ મહાનગરપાલિકાના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના વડા રશ્મિ લોખંડેએ ‘મિડ-ડે’ને આ બાબતે મેસેજ કરીને કહ્યું હતું કે ‘આ પ્રોજેક્ટ નૅશનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ અને સ્ટેટ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના નિર્દેશ અનુસાર હાથ ધરાયો છે. જ્યાં સુધી ૧,૦૦૦ વૉલન્ટિયર્સ ‘આપદા મિત્ર’ તૈયાર નહીં થાય ત્યાં સુધી એ ચાલુ રાખવામાં આવશે.’

mumbai mumbai news