09 November, 2014 04:55 AM IST |
મુંબઈ શહેરની સ્વચ્છતાની સમસ્યાનું લાંબે ગાળે નિવારણ લાવવા સુધરાઈ દ્વારા ૧૪ નવેમ્બરથી ૧૯ નવેમ્બર સુધી શહેરના નાગરિકો માટે એક વર્કશૉપનું આયોજન કરવામાં આવ્યું છે. વર્કશૉપમાં જનતાને સ્વચ્છતાની અગત્યતા વિશે જાગ્રત કરવા ઉપરાંત નાગરિકોને તેમનાં સૂચનો સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ વિભાગના એક ખાસ ઈ-મેઇલ ઍડ્રેસ પર મોકલવા જણાવવામાં આવ્યું છે.
સુધરાઈ સ્વચ્છતા અઠવાડિયું ઊજવશે જેમાં સુધરાઈની તમામ સ્કૂલોના સ્ટુડન્ટ્સને પણ વેસ્ટ મૅનેજમેન્ટ વિશે અને કચરો ન ફેલાવવા વિશે જ્ઞાન આપવામાં આવશે. સુધરાઈએ સ્વચ્છતાની પ્રેરણા સિંગાપોર જેવા શહેર પાસેથી લીધી છે અને સુધરાઈ દાવો કરે છે કે ૨૫ વર્ષ પહેલાં સિંગાપોર પણ મુંબઈ જેટલું જ ગંદું હતું. સુધરાઈ માને છે કે સિંગાપોરને પગલે ચાલી એ સ્વચ્છ બની શકશે. સુધરાઈએ વિભાગોનું વિકેન્દ્રીકરણ કર્યું છે એટલે તમામ વિભાગો મુંબઈને સ્વચ્છ બનાવવાના અભિયાનમાં ભાગ લઈ શકશે.