05 July, 2020 01:19 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
દાદર બિચ પર લાઈફ ગાર્ડસને તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું છે (તસવીર: આશિષ રાજે)
મુંબઈ શહેર એક તરફ કોરોના વાયરસ (COVID-19) મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. ત્યા બીજી બાજુ મેઘરાજા પણ મન મુકીને વરસી રહ્યાં છે. છેલલ્ ત્રણ દિવસથી મુંબઈમાં વરસાદ હોવાથી ઠેર-ઠેર રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. છેલ્લા 24 કલાકથી વરસી રહેલા સતત ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આજે ત્રીજા દિવસે પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક ભાગમાં પાણી ભરાઈ ગયું છે અને ટ્રાફિક પણ થંભી ગયો છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ મુંબઈ, થાણે અને રાયગઢમાં રવિવારે યેલો એલર્ટ જાહેર કર્યું છે.
રવિવાર માટે આઈએમડીએ આગાહી કરી છે કે, મુચબઈ અને આસપાસના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ થવાની સંભાવના છે. કેટાલક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. એટલું જ નહીં આજે સવારે બૃહદ મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ ચેતવણી આપી હતી કે બપોરે 12.23 વાગ્યે મુંબઈના દરિયાકિનારે 4.63 મીટરના મોજા ઉછળશે.
શહેરમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને લીધે મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. હિંદમાતા, સાયન, કુર્લા, દાદરના વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા છે. વરસાદના કારણે નદી-નાળામાં પાણી છલકાયા છે. વિલે પાર્લેમાં ઘરોમાં પાણી ભરાતા લોકોને પરેશાની થઈ રહી છે. નાલાસોપારમાં ઘૂંટણ સમાણા પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે શહેરમાં ટ્રાફિક થંભી ગયો છે. માછીમારોને દરિયો ખેડવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે રાયગઢ, ઠાણે, નાસિક અને પાલઘરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદની ચેતવણી આપતા આઈએમડીએ કહ્યું હતું કે, શહેરમાં જૂની ઈમારતોને આ વરસાદથી જોખમ થઈ શકે છે. લોકોએ ઘરોમાંથી બહાર નીકળવાનું ટાળવું.