10 June, 2019 12:22 PM IST | મુંબઈ | રૂપસા ચક્રવર્તી
મંત્રાલય નજીક ચાલતું મેટ્રોનું કામ. તસવીર : અતુલ કાંબળે
મુંબઈ મેટ્રોએ ૮મી જૂને પાંચ વર્ષ પૂરાં કર્યાં છે અને તેનું વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ શહેરીજનો માટે મેટ્રોના વિસ્તરણનું કામ મચ્છરોના ઉપદ્રવની સમસ્યા લઈને આવ્યું છે. દક્ષિણ મુંબઈમાં વિધાન ભવનની સામે ચાલી રહેલા અન્ડરગ્રાઉન્ડ મેટ્રોના કામમાં છેલ્લા એક મહિનામાં લગભગ ૧૨ જેટલા કામદારોને મલેરિયા અને ડેન્ગીનું નિદાન થયું છે. આમાંના બે કામદારો સેન્ટ જ્યૉર્જ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
સેન્ટ જ્યૉર્જ હૉસ્પિટલના વરિષ્ઠ ડૉક્ટરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે અમે ડેન્ગી અને મલેરિયાથી પીડાતા બાંધકામના સ્થળ પરના મજૂરોને દર મહિને મળીએ છીએ. મેટ્રોની સાઇટ પર ભરાયેલાં પાણીમાં થતાં મચ્છરોના ઉપદ્રવથી તેમને આ રોગ લાગુ પડ્યો છે. ચોમાસા દરમિયાન આ રોગ વધુ વકરવા અપેક્ષિત છે. બીએમસીના હેલ્થ ડિપાર્ટમેન્ટે એમએમઆરસીને સંબંધિત વિસ્તારમાં
ડેન્ગી ફેલાતો અટકાવવા તત્કાળ પગલાં લેવા નોટિસ આપી છે. એમએમઆરસીના ડીજીએમ અશોક ભસ્મેને મોકલવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે મેટ્રો સ્ટેશનમાંના આઈબીમ મચ્છરોની સમસ્યાનો ઉકેલ લાવવામાં અવરોધક બની રહ્યા છે.
આ પણ વાંચો : મુંબઈ : વિદ્યાર્થીએ પેપરમાં 'સૈરાટ' ફિલ્મની સ્ટોરી લખી
ઑફિસના કર્મચારીઓ, પર્યટકો ઉપરાંત રાજ્ય વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થવા તેમ જ સ્કૂલ-કૉલેજો ફરી ખૂલવાને કારણે અવર-જવર વધશે, જેને કારણે ડેન્ગી મલેરિયાનો ફેલાવો વધવા અપેક્ષિત છે.