નવી સરકારની શપથવિધિમાં કરોડોનો ભપકો

29 October, 2014 05:31 AM IST  | 

નવી સરકારની શપથવિધિમાં કરોડોનો ભપકો




રવિકિરણ દેશમુખ

મહારાષ્ટ્ર સરકારની તંગ આર્થિક સ્થિતિ પર વધુ બોજ નાખતાં વાનખેડે સ્ટેડિયમમાં નવા ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ અને તેમના કૅબિનેટના સાથીઓની શપથવિધિમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. વડા પ્રધાન, પાર્ટીના બૉસ અમિત શાહ તથા કૉર્પોરેટ્સ અને બૉલીવુડના મહાનુભાવોની હાજરીમાં શુક્રવારે યોજાનાર આ ઇવેન્ટમાં રજવાડી ઠાઠમાઠ રાખવા રાજ્ય સરકારના પ્રોટોકૉલ ડિપાર્ટમેન્ટને ખાસ વ્યવસ્થાઓ કરવાના ઑર્ડરો આપવામાં આવ્યા છે.

આ સમારંભ માટે બે પોડિયમ બાંધવાની માગણી પાર્ટી તરફથી કરવામાં આવી હતી. એમાં એક પ્રધાનો અને પાર્ટીના ટૉપ લીડર્સ માટે અને બીજું કૉર્પોરેટ બૉસિસ તથા બૉલીવુડની સેલિબ્રિટીઝ માટે બાંધવાની માગણી કરવામાં આવી હતી, પરંતુ રાજ્ય સરકાર ૧૫૦ ફૂટƒ૩૦ ફૂટનું ભવ્ય સ્ટેજ બાંધવા સંમત થઈ છે. આ સ્ટેજ બાંધવાના અને ડેકોરેશનના કામના સુપરવિઝન માટે BJPએ બૉલીવુડના આર્ટ-ડિરેક્ટર નીતિન દેસાઈને કામ સોંપ્યું છે. આ સ્ટેજ પર BJPના ચીફ મિનિસ્ટરો, ડેપ્યુટી ચીફ મિનિસ્ટરો, બીજા પ્રધાનો, સંસદસભ્યો અને વિધાનસભ્યોને તથા પાર્ટીના સેન્ટ્રલ તેમ જ અન્ય રાજ્યોના લીડર્સને બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવશે.

પહેલી હરોળમાં વડા પ્રધાન અને તેમની કૅબિનેટના સિનિયર સાથીઓ તેમ જ પાર્ટીના ચીફ અમિત શાહ સહિત ૧૫ VVIP બેસશે. રાજ્યમાં આટલો ભવ્ય અને હજારો લોકોની હાજરીમાં સમારંભ યોજાવાની ઘટના પહેલી વખત બનશે એમ એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું.

આ અધિકારીએ નીતિન દેસાઈને કામ સોંપવા વિશે થયેલી ચર્ચાઓ બાબતે જણાવ્યું હતું કે ‘શરૂઆતમાં ડેકોરેશન માટે નીતિન દેસાઈની સર્વિસ લેવા બાબતે ઘણો વિરોધ થયો, કારણ કે એમાં પૈસા ચૂકવવાની બાબત હોવાથી સરકારી નિયમો મુજબ ટેન્ડર બહાર પાડવાની બિડિંગ પ્રોસેસની જરૂર પડે એમ હતું, પરંતુ પાર્ટીના લીડર્સે‍ એ બાબત તેમના માથે લઈ લીધી.’

આ આખી કામગીરી અગાઉ ક્યારેય ન હોય એવો ગ્રૅન્ડ અફેર બની ગઈ છે. નિયમો પ્રમાણે પોડિયમ પર ગવર્નર અને શપથ લેનારા ચીફ મિનિસ્ટર સિવાય બીજા કોઈ બેસી ન શકે. નરેન્દ્ર મોદીની શપથવિધિ દરમ્યાન પણ પ્રેસિડન્ટ પ્રણવ મુખરજી સેન્ટર સ્ટેજ પર હતા. મોદી પોતે શપથ લીધા પછી અન્ય પ્રધાનોના શપથ દરમ્યાન રાષ્ટ્રપતિ સાથે મંચ પર બેઠા હતા. BJPના હોદ્દેદારો કૉર્પોરેટ અને ફિલ્મી દુનિયાની સેલિબ્રિટીઝ માટે અલગ સ્ટેજ બાંધવાના હતા, પરંતુ શપથવિધિના સમારંભોમાં આવી રીતરસમ નહીં હોવાનું તેમને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ સમારંભ વિશે BJPના મુંબઈ એકમના પ્રેસિડન્ટ આશિષ શેલારને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે ‘VVIPઓની હાજરી અને સ્પેશ્યલ સ્ટેજ બાંધવાની બાબત નવી નથી. ગુજરાત અને હરિયાણાની રાજ્ય સરકારોના શપથવિધિના સમારંભો આ રીતે જ યોજાયા હતા. વળી રાજ્યમાં પાર્ટી-વર્કર્સ અને લોકોનો ઉત્સાહ પણ વિશેષ હોવાથી અમને આવું આયોજન કરવું પડે છે. રાજ્યમાં ૧૫ વર્ષ પછી બિનકૉન્ગ્રેસી સરકાર શપથ લઈ રહી છે.’

કોણ ક્યાં રહેશે?

સહ્યાદ્રિ ગેસ્ટહાઉસ વડા પ્રધાન માટે રિઝર્વ રાખવામાં આવશે. ઉચ્ચ સ્તરના મહાનુભાવોને દક્ષિણ મુંબઈની સેવનસ્ટાર હોટેલ અને બે ફાઇવસ્ટાર હોટેલોમાં અકોમોડેટ કરવા સરકારી તંત્ર પ્રયત્ન કરી રહ્યું છે.

રવિવારની ઘસીને ના

ટ્રાફિક તથા દક્ષિણ મુંબઈના જનજીવનને અસર ન થાય એ માટે શરૂઆતમાં આ સમારંભ રવિવારે યોજવાનું સૂચન કરવામાં આવ્યું હતું, પરંતુ પાર્ટીએ આ સમારંભ શુક્રવારે જ યોજવાનો આગ્રહ રાખ્યો હતો. હવે આ બિઝી દિવસે ટ્રાફિક અને VVIP લોકોની હેરફેરનો બોજ પોલીસતંત્ર પર પડશે.