દેવનાર કતલખાનાના નૂતનીકરણનું ટેન્ડર રદ કરો

19 June, 2022 11:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીજેપીના પ્રદેશ કોષાધ્યક્ષ અને મુલુંડના વિધાનસભ્ય મિહિર કોટેચાએ ૪૦૦ કરોડના કૌભાંડનો આરોપ કરીને માગણી કરી

પત્રકારોને કતલખાનાના ટેન્ડરની માહિતી આપતા વિધાનસભ્ય મિહિર કોટેચા

દેવનાર કતલખાનાનું નૂતનીકરણ કરવા માટેનું ટેન્ડર એક ઇન્ટરનૅશનલ કંપનીને લાભ પહોંચાડવા માટે બહાર પાડવામાં આવ્યું હોવાથી એ રદ કરવાની માગણી બીજેપીના પ્રદેશ કોષાધ્યક્ષ અને મુલુંડના વિધાનસભ્ય મિહિર કોટેચાએ કરી છે. આ ટેન્ડરમાં કેટલાક પ્રધાનો અને તેમના નજીકના સંબંધીઓને ૧૬૦ કરોડ રૂપિયાની મલાઈ મળશે એવો આરોપ પણ તેમણે કર્યો છે. મિહિર કોટેચાએ ગઈ કાલે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘દેવનાર કતલખાનાના નૂતનીકરણ માટે ૪૦૦ કરોડ રૂપિયાનું ટેન્ડર તાજેતરમાં જ બહાર પાડવામાં આવ્યું છે. આ ટેન્ડરમાં એક ઇન્ટરનૅશનલ કંપનીને જ ફાયદો પહોંચે એવી શરતો અને નિયમો કરવામાં આવ્યાં છે. આ કતલખાનામાં દરરોજ ૫૦૦થી ૬૦૦ જાનવર કતલ માટે આવે છે. નૂતનીકરણ માટેના ટેન્ડર માટે દરરોજ અંદાજે ૨૫,૦૦૦ જાનવરોની કતલનો અનુભવની શરત રાખવામાં આવી છે. આખા દેશમાં આ શરતમાં કોઈ કંપની બેસતી નથી.’

તેમણે કહ્યું હતું કે ‘નૂતનીકરણના ટેન્ડરની સાથે જ ૪ વર્ષ કતલખાના ચલાવવા માટેનું ટેન્ડર પણ જારી કરવામાં આવ્યું છે. એ માટે જરૂરી યંત્રો કેવાં હશે, એ ચલાવવા માટે કેટલો ખર્ચ આવશે એની જાણ ન હોય તો ૪ વર્ષ પહેલાં આ ટેન્ડર કોણ ભરશે એનો વિચાર કરવામાં નથી આવ્યો. આથી આ ટેન્ડર-પ્રક્રિયામાં ગોટાળો થયો હોવાથી એ રદ કરીને નવું ટેન્ડર જારી કરવાની માગણી બીએમસીના કમિશનરને કરવામાં આવી છે. આ માગણી માન્ય નહીં કરાય તો કોર્ટમાં જઈશું.’

mumbai mumbai news bharatiya janata party