એમએનએસના પ્રોગ્રામમાં જ ભોજપુરી સુપરસ્ટાર ચીફ ગેસ્ટ

19 December, 2011 05:20 AM IST  | 

એમએનએસના પ્રોગ્રામમાં જ ભોજપુરી સુપરસ્ટાર ચીફ ગેસ્ટ

 

 

(વરુણ સિંહ)

મુંબઈ, તા. ૧૯

એમએનએસ દ્વારા કાંદિવલી (ઈસ્ટ)માં ઑર્ગેનાઇઝ કરવામાં આવેલી ક્રિકેટ ટુર્નામેન્ટની ઇવેન્ટના કાર્યક્રમમાં રવિવારે સાંજે ભોજપુરી સુપરસ્ટાર અને ‘બિગ બૉસ’માં ભાગ લઈ ચૂકેલા ઍક્ટર મનોજ તિવારીને ચીફ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવ્યો હતો.

૨૦૦૮માં શિવસેનાથી છૂટા પડ્યા બાદ એમએનએસની સ્થાપના કરનાર રાજ ઠાકરેને પરપ્રાંતીયોના મુદ્દાએ બહુ જ ઝડપથી ફેમસ કરી દીધા હતા. તેમનો મુખ્ય ગુસ્સો મુંબઈમાં રહેતા ઉત્તર ભારતીયો વિશે હતો. જોકે હવે ïસમય જતાં લાગી રહ્યું છે કે પાર્ટી અને તેમની વિચારધારામાં પરિવર્તન આવી રહ્યું છે.

એમએનએસના લીગલ વિંગના સેક્રેટરી અખિલેશ ચૌબેએ મનોજ તિવારી ચીફ ગેસ્ટ હોવાનું જણાવીને કહ્યું હતું કે ‘અમારા તેની સાથે પર્સનલ રિલેશન છે અને એથી જ અમે તેને ઇન્વાઇટ કર્યો છે. જોકે ઇવેન્ટમાં તે એક જ માત્ર સ્ટાર છે એવું નથી, ઘણા મરાઠી સ્ટારને પણ બોલાવવામાં આવ્યા છે.’

આ બધું મૂળમાં તો ફેબ્રુઆરીમાં થનારી સુધરાઈની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. ૨૦૦૯માં થયેલી વિધાનસભાની ચૂંટણી વખતે પણ  એમએનએસ  દ્વારા ઉત્તર ભારતીયોને આકર્ષવા હિન્દીમાં પૅમ્ફ્લેટ વહેંચવામાં આવ્યાં હતાં અને આ પણ ઉત્તર ભારતીયોને આકર્ષવા માટે જ કરવામાં આવ્યું હોય એમ લાગી રહ્યું છે. કાંદિવલી સહિતનાં વેસ્ટર્ન સબબ્ર્સમાં ઘણા પરપ્રાંતીયો વસે છે. 

હાલમાં જ એમએનએસ દ્વારા દૂધના ધંધામાંની પરપ્રાંતીયોની ઇજારાશાહી તોડવા ‘મુંબઈ દૂધ - સ્વાદ મહારાષ્ટ્રાચા’ની જાહેરાત કરવામાં આવી હતી. મનોજ તિવારીએ ૨૦૦૯ના જનરલ ઇલેક્શનમાં ગોરખપુરમાંથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે ઝુકાવ્યું હતું.

મનોજ તિવારી શું કહે છે?

એમએનએસના કાર્યક્રમમાં હાજરી આપવા સંબંધે મનોજ તિવારીએ આ સમાચારની પુષ્ટિ કરતાં કહ્યું હતું કે ‘હા, એ સાચી વાત છે. એમએનએસના પ્રોગ્રામમાં જવામાં વાંધો શું છે? એક સમયે પ્રૉબ્લેમ હતો એ ઠીક છે, પણ હવે જ્યારે બધું નૉર્મલ અને સારું થઈ રહ્યું છે અને મને જ્યારે આમંત્રણ આપવામાં આવ્યું છે તો મારે  શા માટે એ ઇવેન્ટમાં ભાગ ન લેવો જોઈએ?’