06 September, 2026 10:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મનોજ મંગલદાસ ગોરી
કચ્છી ભાનુશાલી સમાજના આગેવાન મનોજ મંગલદાસ ગોરીની અણધારી વિદાયથી સમસ્ત ભાનુશાલી સમાજે એક છત્રછાયા ગુમાવી છે. મુલુંડમાં રહેતા મૂળ મોડકુબાના વતની મનોજભાઈ ધર્મપારાયણ અને સેવાભાવી હતા. સમસ્ત ભાનુશાલી સમાજ માટે દાતાર તરીકે તેમણે અનેક કાર્યો કર્યાં છે. તેમની સેવા, સ્નેહ અને માર્ગદર્શનને સમાજ ભૂલી શકશે નહીં. તેમના સંસ્કાર અને જીવનમૂલ્યો હંમેશાં પ્રેરણારૂપ રહેશે. મનોજભાઈ અને તેમના પરિવાર દ્વારા અનેક પરોપકારી સત્કર્મો જેમ કે સમૂહલગ્નો, ઐરોલી અને નેરુલમાં હૉસ્ટેલ, સમાજનાં મકાનોના રીડેવલપમેન્ટ માટે સંકલ્પ નિધિ, સ્વમાન લગ્નવ્યવસ્થાના પ્રણેતા, અમદાવાદમાં મંગલ ભવનની સ્થાપના અને કન્યાશિક્ષણ માટે હૉસ્ટેલ કરવામાં આવ્યાં છે. વાપી અને ઉમરગામમાં ઓધવ આંગન આવાસ યોજના અને વલસાડમાં સમાજની વાડીના પ્રણેતા મનોજભાઈએ ભાનુશાલી સમાજ સાથે તેમના મોડકૂબા ગામ માટે પણ વારામાં મંદિરનું નિર્માણ, જરૂરિયાતમંદને માવજત સહાય, ભાગવત સપ્તાહ, વારામાં ભવન અને ભોજનાલય, જરૂરિયાતમંદો માટે આર્થિક, શૈક્ષણિક અને માવજત સહાય તથા મેડિક્લેમની સુવિધા જેવાં અનેક સત્કર્મો કર્યાં છે. તેઓ સમાજના આધારસ્તંભ, દીનદુઃખીઓના બેલી અને માર્ગદર્શક બની રહ્યા હતા. સમસ્ત ભાનુશાલી સમાજ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપીને તેમના પુણ્ય આત્માની ચિરઃ શાંતિ અર્થે પ્રાર્થના કરવામાં આવી છે એમ નવી મુંબઈસ્થિત APMC માર્કેટની દાણાબજારની ગ્રોમા સંસ્થાના પ્રમુખ ભીમજી ભાનુશાલીએ જણાવ્યું હતું.