30 December, 2020 09:31 AM IST | Mumbai | Rajendra B Aklekar
લૉકડાઉનમાં બેસ્ટની બસો એકેય દિવસ બંધ ન રહી હોવાનો દાવો
સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેને સાથે મળીને ૧૮ લાખ જેટલા પ્રવાસીઓ મળે છે, જ્યારે કુલ ૪૪૪૫ બસોમાં રોજ ૨૪ લાખ પ્રવાસીઓને મુસાફરી કરાવવા સાથે બેસ્ટ શહેરની નવી લાઇફલાઇન તરીકે ઊભરી આવી છે.
લોકલ ટ્રેનો હજી સામાન્ય જનતા માટે ખુલ્લી મુકાઈ નથી. માત્ર ૧૮ કૅટેગરીમાં આવતી સેવાઓના સ્ટાફ અને મહિલાઓને જ ફિક્સ ટાઇમ વિન્ડોમાં મુસાફરી કરવાની પરવાનગી અપાઈ છે.
૨૩ માર્ચથી લૉકડાઉન લાગુ થયું ત્યાર પછી મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેનો પણ થંભી ગઈ હતી, પરંતુ બેસ્ટએ એક પણ દિવસ એની સર્વિસ અટકાવી નથી.
બેસ્ટની બસોએ જરૂરી સેવાઓના કાર્યકરો માટે પરિવહન યથાવત્ રાખ્યું હતું અને ક્રમશઃ વધુ રૂટ અને ટ્રિપ ઉમેર્યાં હતાં. બેસ્ટ અન્ડરટેકિંગ હવે મુંબઈવાસીઓ માટે એનો સમગ્ર કાફલો સામેલ કરશે. બેસ્ટ ૨૭ ડેપો, ૫૧ બસ-સ્ટેશનો અને ૧૧૨ બસ ટર્મિનસ અથવા ચોકી ધરાવે છે.
એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘વેટ-લીઝ અને એમએસઆરટીસીની બસો સહિત હવે કુલ ૪૪૪૫ બસોનો કાફલો છે અને સરકારે અનલૉકના નિયમો હેઠળ એમને પૂર્ણ ક્ષમતાએ દોડાવવાની છૂટ આપી છે, જેને પગલે સંખ્યા વધી છે. બેસ્ટના તાજેતરના આંકડા એ પણ સૂચવે છે કે કોરોનાનો રિકવરી રેટ ઘણો ઊંચો છે અને કોરોના પૉઝિટિવ હોય તેવા કર્મચારીઓની સંખ્યા હવે નજીવી છે.’