સાત જન્મના સાથ નિભાવવાની સોગંદ ખાનારા કપલે આત્મહત્યા કરી

03 December, 2020 10:33 AM IST  |  Beed | Gujarati Mid-day Correspondent

સાત જન્મના સાથ નિભાવવાની સોગંદ ખાનારા કપલે આત્મહત્યા કરી

ટૂંકા લગ્નજીવનમાં જ જીવન ટૂંકાવનારું કપલ પ્રિયંકા અને સાયસ પંડિત

પતિ-પત્નીના સંબંધ સાત જન્મના ગણાય છે, પરંતુ બીડમાં એક યુગલે કોઈક અકળ કારણસર આત્મહત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પત્નીને ઝેર આપ્યા બાદ પતિએ ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવવાની ઘટનાની જાણ થતાં પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો. કપલે શા માટે આ પગલું ભર્યું હતું એની તપાસ પોલીસે હાથ ધરી છે.

પોલીસે આપેલી માહિતી મુજબ બીડમાં પરળીના પાંગરી કૅમ્પમાં પ્રિયંકા અને સાયસ પંડિત રહેતાં હતાં. બન્ને પતિ-પત્નીના મૃતદેહ તેમના ઘરેથી મળી આવ્યા હતા. પ્રિયંકાને ઝેર આપ્યા બાદ પતિ સાયસે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું.

પ્રિયંકા અને સાયસના લગ્ન થોડા મહિના પહેલાં જ થયાં હતાં. તેમણે પરિવારના આંતરિક ઝઘડાને લીધે આ અંતિમ પગલું ભર્યું હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. પ્રિયંકાએ સાંજે છ વાગ્યે ઝેર પીધું હતું અને તેના પતિ સાયસે રાત્રે ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું પોલીસની તપાસમાં જણાયું હતું.

બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને બન્નેના મૃતદેહ તાબામાં લીધા હતા અને હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ કરવા માટે મોકલી દીધા હતા. પરળી પોલીસે પતિ-પત્નીના મૃત્યુના કેસની તપાસ તેમના પરિવારજનોની પૂછપરછ કરીને કરવાનો નિર્ણય લીધો છે. તેમણે શા માટે આ અંતિમ પગલું ભર્યું હતું એ જાણવાનો પોલીસ પ્રયાસ કરશે.

maharashtra beed