28 January, 2026 02:11 PM IST | Baramati | Gujarati Mid-day Online Correspondent
પ્લેન ક્રૅશ થયા બાદના દ્રશ્યો (તસવીર: મિડ-ડે)
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને નૅશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (NCP AP)ના વડા અને પ્રભાવશાળી નેતા અજિત પવારનું આજે સવારે વિમાન દુર્ઘટનામાં અવસાન થયું કજે. સ્પષ્ટવક્તા નિવેદનો માટે જાણીતા, અજિત પવાર મુંબઈથી બારામતીની મુલાકાતે નીકળ્યા હતા. જોકે, રનવે પર ઉતરતા પહેલા વિમાને કાબુ ગુમાવ્યો અને ખેતરમાં ક્રૅશ થયું. પ્રાથમિક માહિતી મુજબ, અજિત પવાર સાથે વિમાનમાં રહેલા અન્ય ચાર સભ્યોના મોત થયા છે. હવે આ વિમાન ક્રૅશ થયા પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે.
અજિત પવારનું વિમાન ક્રૅશ થયું તે સમયનું સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે. આ ઘટના ખેતરની નજીક આવેલા સીસીટીવી કૅમેરામાં કેદ થઈ છે જ્યાં અકસ્માત થયો હતો. વીડિયોમાં સવારે 8:46 વાગ્યે જોરદાર વિસ્ફોટ જોવા મળ્યો છે. આસપાસના વિસ્તારમાં જોરદાર અવાજ પણ સંભળાયો હતો. આ ઘટનાના ભયાનક દ્રશ્યો હવે સામે આવ્યા છે. જ્યારે જેટ આકાશમાંથી નીચે આવ્યું ત્યારે તે થોડા સમય માટે આકાશમાં ફરતું રહ્યું. ત્યારબાદ, તે ધીમે ધીમે નીચે ઉતર્યું.
એક તરફ ઝૂકેલું વિમાન ખેતરમાં ક્રૅશ થયું. ત્યારબાદ, એક મોટો વિસ્ફોટ થયો. સીસીટીવીમાં જોવા મળે છે કે અકસ્માત કેટલો ભયાનક હતો. વીડિયોમાં વિસ્ફોટ થતાં જ વિમાન નીચે પડી રહ્યું હતું. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું છે કે વિમાન જમીન પર પટકાયા પછી પણ વિસ્ફોટ થયો. લોકોને ખરેખર શું થયું તે સમજવામાં થોડીક સેકન્ડ લાગી.
નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર જે વિમાનમાં મુસાફરી કરી રહ્યા હતા તે VSR નામની ખાનગી કંપનીનું હતું. આ વિમાનનું મોડેલ Learjet 45 હતું. આ વિમાનો મુખ્યત્વે ખાનગી મુસાફરી માટે ઉપયોગમાં લેવાય છે. વિમાન એક અત્યાધુનિક જેટ હતું. આ વિમાનનો નોંધણી નંબર VT-SSK હતો. આ વિમાનનો કૅપ્ટન રોહિત સિંહ હતો. આ ઍરલાઇનના માલિક વી. કે. સિંહ છે. નાયબ મુખ્ય પ્રધાન સહિત આ વિમાનમાં કુલ પાંચ લોકો સવાર હતા.
પીએમ નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયા (Social Media) પોસ્ટમાં લખ્યું છે કે, ‘શ્રી અજિત પવારજી લોકોના નેતા હતા, જેમનો પાયાના સ્તર સાથે મજબૂત સંબંધ હતો. મહારાષ્ટ્રના લોકોની સેવા કરવામાં મોખરે રહેલા મહેનતુ વ્યક્તિત્વ તરીકે તેમનું વ્યાપકપણે સન્માન કરવામાં આવતું હતું. વહીવટી બાબતોની તેમની સમજ અને ગરીબો અને દલિતોને સશક્ત બનાવવાનો જુસ્સો પણ નોંધપાત્ર હતો. તેમનું અકાળ અવસાન ખૂબ જ આઘાતજનક અને દુઃખદ છે. તેમના પરિવાર અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ.’