20 August, 2026 07:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈની લાઈફ લાઇન ગણાતી લોકલ ટ્રેનમાં ગુરુવારે બપોરે સીટને લઈને થયેલા વિવાદ બાદ ચર્ચગેટ-બોરીવલી લોકલ ટ્રેનમાંથી એક દિવ્યાંગ મુસાફરને ધક્કો મારવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ ઘટના બાન્દ્રા અને માહિમ રેલવે સ્ટેશન વચ્ચે બની હતી. ભાભા હૉસ્પિટલમાં સારવાર દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયેલા પીડિત મુસાફરનું મૃત્યુ થયું હતું. બાન્દ્રા ખાતેની આરપીએફ પોસ્ટ અનુસાર, આ ઘટના 20 ઑગસ્ટ, 2026 ના રોજ બપોરે 1:22 વાગ્યે બની હતી. ચર્ચગેટ-બોરીવલી સ્લો લોકલ ટ્રેન (નંબર 90467) માહિમ અને બાન્દ્રા વચ્ચે 14/03 કિલોમીટર નજીકથી પસાર થઈ રહી હતી. દિવ્યાંગ વ્યક્તિઓ માટે અનામત રાખવામાં આવેલા કોચમાં બે મુસાફરો વચ્ચે સીટને લઈને વિવાદ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ વિવાદ દરમિયાન એક મુસાફરે બીજા મુસાફરને ધક્કો માર્યો હોવાનો આરોપ છે. ઘાયલ મુસાફરની ઓળખ 62 વર્ષીય કેજીતન પાલ ડૅનિસ પીરિસ તરીકે થઈ છે, જે મુંબઈના સાંતાક્રુઝ પૂર્વના રહેવાસી છે.
ઘટનાની માહિતી મળતાં, GRP કર્મચારીઓ અને રેલવે સ્ટાફની એક ટીમ ઘટનાસ્થળે પહોંચી. સબ-ઇન્સ્પેક્ટર અરુણ કુમાર પાંડેની આગેવાની હેઠળ GRP ટીમે ઘાયલ મુસાફરને બેભાન અવસ્થામાં જોયો. તેમને બપોરે 2:45 વાગ્યે બાન્દ્રા પશ્ચિમની ભાભા હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું, અને સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે જણાવ્યું હતું કે મુસાફરો કોચ 1508C માં મુસાફરી કરી રહ્યા હતા. સાથી મુસાફરોએ રેલવે સ્ટાફને જાણ કરી હતી કે એક વ્યક્તિએ બાન્દ્રા તરફ જતી ટ્રેનમાં બીજા મુસાફરને ધક્કો માર્યો હતો.
ઘટના બાદ, બાન્દ્રા રેલવે પોલીસે 48 વર્ષીય અમજદ સફરુદ્દીન શેખની અટકાયત કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, તે ચર્ચગેટ પૂર્વમાં ચર્ચગેટ દરગાહ પાસે ફૂટપાથ પર રહે છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન, શેખે પોલીસને જણાવ્યું કે તેને લાગ્યું કે કોઈ કાગડો કોચમાં ઘૂસી રહ્યો છે. કાગડાને બળજબરીથી બહાર કાઢવાના પ્રયાસ દરમિયાન, તેને ધક્કો પીડિતને લાગતા ટે ટ્રેનમાંથી નીચે પડી ગયો. પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩ હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. બાન્દ્રા જીઆરપીએ કેસ નોંધ્યો છે (સીઆર નં. ૨૦૭/૨૬). આ કેસ ૨૦ ઑગસ્ટ, ૨૦૨૬ ના રોજ નોંધવામાં આવ્યો હતો.
ફોરેન્સિક ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. બાન્દ્રા જીઆરપીના એક નિરીક્ષકે પણ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. સરકારી રેલવે પોલીસ આ બાબતની તપાસ કરી રહી છે. પોલીસ ઘટના દરમિયાન હાજર મુસાફરો તેમજ અન્ય સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ કરી રહી છે. તપાસના આધારે વધુ વિગતો જાહેર કરવામાં આવશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.