31 July, 2012 02:46 AM IST |
અગાઉ બારમાલિકો પોલીસોને લાંચ આપતા હોવાથી તેમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નહોતી, પરંતુ હવે પોલીસ-કમિશનરે રિપોર્ટ સબમિટ કરવા જણાવતાં પરિસ્થિતિમાં મોટો બદલાવ આવવાની શક્યતા છે. મુંબઈપોલીસના એક અધિકારીએ કહ્યું હતું કે ‘સમયસર બાર તથા પબમાલિકો મનોરંજન-કર ભરતા નથી, ફૂડ તથા ડ્રિન્કિંગની જગ્યા વચ્ચે કોઈ પાર્ટિશન હોતું નથી, બહુ ભીડ હોય છે અને ચાર કરતાં વધુ ગાયકો બારમાં હોય છે. એમ કરવા માટે જરૂરી પરવાનગી પણ તેમની પાસે નથી હોતી. કેટલાક બાર પાસે માત્ર ઑર્કેસ્ટ્રા-બારની જ પરવાનગી હોવા છતાં ત્યાં ડાન્સ-બાર ચાલતા હોય છે.’
પોલીસ-સ્ટેશન દ્વારા આવા બાર સામે કાર્યવાહી ન થતાં સોશ્યલ સર્વિસ બ્રાન્ચે કાર્યવાહી કરવી પડતી હતી. વળી વસંત ઢોબળે તથા તેમના કર્મચારીઓને બારમાલિકોની નારાજગી વહોરવી પડતી હતી તેમ જ ગેરકાયદે પ્રવૃત્તિ પણ ચાલુ રહેતી હતી. પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે હવે જો સોશ્યલ સર્વિસ બ્રાન્ચ કોઈ બારમાં રેઇડ પાડશે તો એ વિસ્તારના જવાબદાર પોલીસ-અધિકારી વિરુદ્ધ પણ તરત કાર્યવાહી કરવામાં આવશે. વસંત ઢોબળેને પોલીસ-કમિશનરના આદેશ બાદ થોડીક રાહત થશે, કારણ કે હવે લોકલ પોલીસ-સ્ટેશને કાર્યવાહી કરીને એનો રિપોર્ટ દર અઠવાડિયે રજૂ કરવાનો રહેશે.