અંધેરીની વિશાલ સોસાયટી ટૅન્કરના પાણી માટે ખર્ચે છે વર્ષે ૧૩ લાખ રૂપિયા

01 October, 2011 09:14 PM IST  | 

અંધેરીની વિશાલ સોસાયટી ટૅન્કરના પાણી માટે ખર્ચે છે વર્ષે ૧૩ લાખ રૂપિયા

 

કાજલ ગોહિલ-વિલ્બેન


અંધેરી, તા. ૧

સુધરાઈના કે-ઈસ્ટ વિસ્તારમાં આવેલી વિશાલ સોસાયટીમાં ‘એ’થી લઈને ‘ઈ’ સુધી કુલ ૯ બિલ્ડિંગો છે, જેમાં ૨૦૦૪થી પાંચ બિલ્ડિંગોમાં બિલકુલ પાણી નહોતું આવતું તો બીજી બાજુ બાકીનાં ચાર બિલ્ડિંગોમાં પ્રમાણમાં ઘણું ઓછું પાણી આવતું હોવાથી સોસાયટીવાળાઓએ ૨૦૧૧ સુધી સુધરાઈમાં સતત ફરિયાદો કરી, પણ પોકળ વાયદાઓથી કંટાળીને હવે તેઓ કોર્ટનાં દ્વાર ખખડાવવાનું વિચારી રહ્યા છે. એ વિશે ‘મિડ-ડે’ને જણાવતાં સોસાયટીના સભ્ય સુધીરકાન્ત મકાણીએ કહ્યું હતું કે ‘અમને ક્યારેક મીટર બદલવાનો, ક્યારેક વાલ્વ બદલવાનો તો ક્યારેક આખી પાઇપલાઇન જ બદલવાનો ખર્ચ કરાવ્યો છે અને અમે એ મુજબ કર્યું પણ છે, છતાં કોઈ ઉકેલ નથી. સુધરાઈના કમિશનરને છેલ્લાં છ વર્ષના બધા કાગળોનો ફાઇનલ ડ્રાફ્ટ બનાવીને મોકલ્યો છે. જો ત્યાર બાદ પણ અમને અમારી સમસ્યાનું કોઈ નિવારણ નહીં મળે તો અમે કોર્ટની નોટિસ સુધરાઈને મોકલીશું.’


સુધીરકાન્ત મકાણીએ કહ્યું હતું કે ‘૨૦૦૫-’૦૬માં અમારી પાણીની સમસ્યાના નિવારણરૂપે સુધરાઈએ અમને એ. કે. રોડના કામ સાથે જૂની ૨૦૦ મિલીમીટરની પાઇપલાઇન અને ૩૦૦ મિલીમીટરની નવી પાણીની પાઇપલાઇન સાથે બદલી આપવાનો પ્રોજેક્ટ પાસ કયોર્ હતો જે ૨૦૦૭માં એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી)ને સોંપવામાં આવેલો. અત્યારે એમએમઆરડીએ એ. કે. રોડ અને મેટ્રો રેલના કામમાં વ્યસ્ત હોવાથી તેમણે અમારી પાઇપલાઇન બદલવાનું કામ હાથ નથી ધર્યું તેમ જ સુધરાઈએ અમારી જાણ બહાર આ પ્રોજેક્ટને અભરાઈ પર ચડાવી દીધો છે. અસિસ્ટન્ટ કમિશનર કે-ઈસ્ટ વી. વી. શંકરરાવે આ સંબંધે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે કે-ઈસ્ટ વૉર્ડના આ વિસ્તારમાં પાણીનું પ્રેશર ઓછું હોવાથી સમસ્યા છે. આ માટે નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે.