28 July, 2021 11:16 AM IST | Mumbai | Agency
અજિત પવાર કરશે મુંબઈ-બૅન્ગલોર હાઇવે પર ફ્લાયઓવર્સ બનાવવા ગડકરી સાથે વાત
મુંબઈ : મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે મંગળવારે જણાવ્યું હતું કે પૂરની સ્થિતિમાં વાહનોની ગતિવિધિમાં અવરોધ ન સર્જાય એ માટે કોલ્હાપુરથી પસાર થતા મુંબઈ- બૅન્ગલોર નેશનલ હાઇવે સ્ટ્રેચ પર ફ્લાયઓવર્સનું નિર્માણ કરવાની સંભવિતતા અંગે તેઓ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી સાથે વાત કરશે.
ગયા સપ્તાહે ભારે વરસાદનો ભોગ બનેલા જિલ્લામાં પૂરની સ્થિતિની સમીક્ષા કરવા માટે કોલ્હાપુર પહોંચેલા અજિત પવારે પંચગંગા નદીમાં વહેતાં કુદરતી જળાશયો પરના અતિક્રમણ સામે કડક પગલાંની પણ માગણી કરી હતી. પાણી ભરાવાને કારણે ચાર દિવસ સુધી બંધ રહેલો કોલ્હાપુર નજીકનો મુંબઈ- બૅન્ગલોર નૅશનલ હાઇવે સોમવારે વાહનો માટે પુનઃ શરૂ કરવામાં આવ્યો હતો.
પશ્ચિમ મહારાષ્ટ્રના જિલ્લા નજીકથી પસાર થતો હાઇવે ગુરુવારે બંધ કરી દેવાયો હતો, જેને કારણે કર્ણાટકથી આવતાં ટ્રકો અને સ્મૉલ કાર્સ સહિતનાં લગભગ ૨,૦૦૦ વાહનો ફસાઈ ગયાં હતાં.
અજિત પવારે જણાવ્યું હતું કે ‘હું ગડકરીસાહેબ સાથે વાત કરીશ. નૅશનલ હાઇવે વાહનોની અવરજવર માટે હંમેશાં ખુલ્લો રહેવો જોઈએ. જિલ્લામાં વિવિધ પટ્ટા પર ફ્લાયઓવર્સ બાંધવાની સંભવિતતા વિશે હું ગડકરીસાહેબ સાથે વાત કરીશ, જેથી પૂરની સ્થિતિમાં (મુંબઈ) પુણે- બૅન્ગલોર હાઇવે પર વાહનોની અવરજવરમાં વિક્ષેપ ન સર્જાય.’