28 April, 2025 11:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અજિત પવારના સુરક્ષા કર્મચારીઓએ મધમાખીઓને ભગાવવાનો પ્રયાસ કર્યો હતો.
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારના કાફલા પર ગઈ કાલે સંગમેશ્વરમાં મધમાખીઓએ હુમલો કર્યો હતો જેમાં કેટલાક અધિકારીઓ અને સુરક્ષા-કર્મચારીઓ ઘાયલ થયા હતા. અજિત પવાર કસબા ગામના સરદેસાઈની વાડીમાં આવેલા સંગમ મંદિરના પરિસરમાં હતા ત્યારે આ ઘટના બની હતી. મધમાખીઓના આ હુમલાથી દોડધામ મચી ગઈ હતી. અજિત પવારને તરત જ સુરક્ષિત રીતે કારમાં બેસાડી દેવામાં અવ્યા હતા. અધિકારીઓ અને સુરક્ષા-કર્મચારીઓએ મધમાખીઓને ઉપરણાથી દૂર કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો. મધમાખીઓએ ઘણા લોકોને ડંખ માર્યા હોવાનું જણાઈ આવ્યું હતું.
પ્રાણીઓ પણ થયાં ગરમીથી પરેશાન
ઉનાળો આગળ વધવાની સાથે ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે એને લીધે મુંબઈગરાઓની સાથે પ્રાણીઓ પણ હેરાન થઈ રહ્યાં છે. ભાયખલામાં આવેલા રાણીબાગમાં રાખવામાં આવેલાં પ્રાણીઓને ગરમીથી રાહત મળે એ માટેના પ્રયાસરૂપે અહીંના સંચાલકોએ પાણીના ફાઉન્ટનની વ્યવસ્થા કરી છે. એની નીચે ગઈ કાલે સાંભર અને હરણ ગરમીથી રાહત અનુભવતાં જોવા મળ્યાં હતાં.