21 June, 2025 02:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઈલ તસવીર
દિલ્હીથી પુણે જઈ રહેલા ઍર ઇન્ડિયાના વિમાન સાથે ગઈ કાલે એક પક્ષી અથડાયું હતું. એને કારણે ઍરલાઇન્સને પુણેથી દિલ્હીની ફ્લાઇટ રદ કરવી પડી હતી. નોંધનીય વાત એ હતી કે જ્યારે પક્ષી રસ્તામાં વિમાન સાથે અથડાયું ત્યારે પાઇલટને એની ખબર પણ નહોતી. લૅન્ડિંગ પછી તપાસમાં આ વાત બહાર આવી હતી, જે પછી વિમાનની રિટર્ન ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.
આ સંદર્ભમાં ઍરલાઇન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ‘વિમાન સુરક્ષિત રીતે ઊતર્યું હતું અને પુણેમાં ઉતરાણ પછી પક્ષી અથડાવાની ઘટના પ્રકાશમાં આવી હતી. વિમાનને રોકી દેવામાં આવ્યું છે અને એન્જિનિયરિંગ ટીમ એની સંપૂર્ણ તપાસ કરી રહી છે. પુણેથી દિલ્હી જતી ફ્લાઇટ AI-2470 પક્ષી અથડાવાને કારણે રદ કરવામાં આવી છે.’
શુક્રવારે ઍર ઇન્ડિયાની ૮ ફ્લાઇટ રદ
અમદાવાદમાં ઍર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રૅશ થયા બાદ ઍર ઇન્ડિયાએ એનાં તમામ વિમાનોની તપાસ શરૂ કરી દીધી છે. આના કારણે શુક્રવારે ઍર ઇન્ડિયાની ૮ ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.