28 April, 2026 10:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈથી ભોપાલ જઈ રહેલી ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં રવિવારે હવામાં જ ટેક્નિકલ ખામી સર્જાતાં ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે પાઇલટની સમયસૂચકતા અને ઍરપોર્ટ પર તહેનાત વિવિધ ટીમોને કારણે ૧૭૫ મુસાફરોનો બચાવ થયો હતો અને ફ્લાઇટનું ભોપાલ ઍરપોર્ટ પર સુરક્ષિત રીતે ઇમર્જન્સી લૅન્ડિંગ કરવામાં આવ્યું હતું.
ઍર ઇન્ડિયાની ફ્લાઇટ AI 633એ મુંબઈથી ઉડાન ભરી હતી. ત્યાર બાદ પ્લેનમાં કોઈ ખામી દેખાતાં પાઇલટે તરત ઍર ટ્રાફિક કન્ટ્રોલ (ATC)નો સંપર્ક કરીને ઇમર્જન્સી પ્રોટોકૉલ લાગુ કરવાની વિનંતી કરી હતી. સ્થિતિની ગંભીરતા જોતાં ભોપાલ ઍરપોર્ટ પર તાબડતોબ ફાયર-બ્રિગેડ, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યૉરિટી ફોર્સ (CISF) અને મેડિકલ ટીમને અલર્ટ કરી દેવામાં આવી હતી. કટોકટીના આ માહોલ વચ્ચે રવિવારે બપોરે ૩.૨૦ વાગ્યે ફ્લાઇટ રન-વે પર સુરક્ષિત રીતે ઊતરી જતાં પ્રશાસન અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ ટેક્નિકલ ખામીને કારણે ભોપાલથી મુંબઈ આવતી વળતી ફ્લાઇટ રદ કરવાની ફરજ પડી હતી. એને કારણે ઍરપોર્ટ પર મુંબઈ જવા માટે તૈયાર ૧૭૮ જેટલા મુસાફરો અટવાઈ પડ્યા હતા. ઍરલાઇન પ્રશાસન દ્વારા ફસાયેલા મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હતી તેમ જ પ્લેનની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી.