01 July, 2020 09:43 AM IST | Mumbai | Mumbai correspondent
સુધરાઈ ડિસ્પોઝલ કાર્ડબોર્ડ યુરિનલનો ઉપયોગ કરવાનું વિચારી રહી છે
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ‘ચેઝ ધ વાઇરસ’ બાદ હવે ‘સેવ ધ લાઇવ્સ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન ગઈ કાલે કોવિડ-19 સામે લડવા માટે લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ અભિયાન હેઠળ હવે ડૉક્ટરોએ તમામ કેસની ડિટેઇલ્સ આપવાની રહેશે.
શહેરમાં પૉઝિટિવ કેસ નોંધાવાની માત્રામાં ઘટાડો થયો છે, પણ મૃત્યુઆંક હજી જેમનો તેમ છે. મોર્ટાલિટી રેટ ૫.૭ થયો છે, જ્યારે નૅશનલ ઍવરેજ મોર્ટાલિટી રેટ ત્રણ ટકા છે. મ્યુનિસિપલ કમિશનર આઇ. એસ. ચહલે પદ સંભાળ્યા બાદ જૂનમાં ‘વાઇરસને માત આપો’ અભિયાન શરૂ કર્યું હતું. આ અભિયાનને ઘણો સારો પ્રતિસાદ મળ્યો હતો. એને જોતાં કોરોના-કેસમાં હજી ઘટાડો થાય એ માટે ‘જીવન બચાઓ’ નામે આ બીજું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સરકારી હૉસ્પિટલના તમામ સ્ટાફ, ડૉક્ટર, નર્સ, વૉર્ડબૉયે તમામ દર્દીઓની જવાબદારી લેવી. વિડિયો-કૉન્ફરન્સના માધ્યમથી તમામ દર્દીની ડિટેઇલ પાલિકાને આપવામાં આવે.
અહીં નોંધવા જેવી બાબત એ હતી કે ઘણા દર્દીઓ ટૉઇલેટ જવા માટે ઑક્સિજન કાઢીને જતા હોવાથી તેમનાં મૃત્યુ થઈ રહ્યાં હતાં. આ ઘટના રાતે એકથી પાંચ વાગ્યા વચ્ચે વધુ બની રહી હતી એથી હવે દરેક બેડ પર બેડ-પૅન લગાડવામાં આવશે અને દરેક ચાર બેડ છોડીને ટૉઇલેટ હશે. ટૉઇલેટ સુધી જવામાં અટેન્ડન્ટ દર્દીને મદદ કરશે.
રાતે ટૉઇલેટ જવા માટે ઑક્સિજન હટાવવાને લીધે ઘણા દર્દીઓનાં મૃત્યુ થતાં હતાં એથી દરેક બેડ પર બેડ-પૅન આપવાનું નક્કી કર્યું છે.
-ઇકબાલ સિંહ ચહલ, પાલિકાના કમિશનર