05 December, 2021 06:26 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રિયંકા ચતુર્વેદી (ફાઈલ ફોટો)
શિવસેના (Shiv sena)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી (Priyanka chaturvedi)એ રવિવારે સંસદ ટીવી છોડી દીધું છે. રાજ્યસભામાંથી સસ્પેન્શનના વિરોધમાં તેમણે આ પગલું ભર્યું હતું. ચતુર્વેદી સહિત રાજ્યસભાના 12 સભ્યોને હાલના સત્રના બાકીના સમયગાળા માટે અધ્યક્ષ દ્વારા બેકાબૂ વર્તનને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
સાંસદ પ્રિયંકા ચતુર્વેદી સંસદ ટીવીના શો `મેરી કહાની`ની એન્કર હતી. 5 ડિસેમ્બરે રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુને લખેલા પત્રમાં સાંસદ ચતુર્વેદીએ લખ્યું હતું કે, `મારા મનસ્વી સસ્પેન્શને સ્થાપિત સંસદીય ધોરણો અને નિયમોનું સંપૂર્ણ ઉલ્લંઘન કર્યું છે. મારા અવાજને દબાવવા માટે, મારા પક્ષના અવાજને ચેમ્બરની અંદર રાખવામાં ન આવે તે માટે આ પગલું ભરવામાં આવ્યું હતું. જ્યારે મને બંધારણના મારા પ્રાથમિક શપથ પૂરા કરવાનો ઇનકાર કરવામાં આવી રહ્યો છે ત્યારે હું સંસદ ટીવીમાં સેવા આપવા તૈયાર નથી.`
ઓગસ્ટમાં સંસદના ચોમાસુ સત્ર દરમિયાન રાજ્યસભામાં અધ્યક્ષ નાયડુ દ્વારા વિપક્ષના 12 સાંસદોને અભદ્ર વર્તન બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમાંથી છ કોંગ્રેસના બે-બે શિવસેના અને તૃણમૂલ અને એક-એક સીપીઆઈ(એમ) અને સીપીઆઈના છે. આ કાર્યવાહી ગત સોમવારે કરવામાં આવી હતી. આ તમામ સાંસદોને ચાલુ શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વિપક્ષે આ સસ્પેન્શનને અલોકતાંત્રિક અને ઉપલા ગૃહના નિયમો અને પ્રક્રિયા વિરુદ્ધ ગણાવ્યું છે.
અધ્યક્ષ નાયડુને લખેલા પત્રમાં પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, `આ સસ્પેન્શન મારા સંસદીય ટ્રેક રેકોર્ડને બગાડવા માટે કરવામાં આવ્યું છે.` `મેરી કહાની` કાર્યક્રમના સ્પષ્ટ સંદર્ભમાં તેમણે કહ્યું, મહિલા સાંસદોને તેમની મુસાફરી શેર કરવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરવાના મારા યોગદાનનું અપમાન કરવા માટે પણ આ પગલું લેવામાં આવ્યું છે, જ્યારે આ પહેલ મારી ફરજોથી આગળ વધી ગઈ છે. હું તેને અન્યાય માનું છું, પરંતુ અધ્યક્ષની નજરમાં તે માન્ય છે.`