અનુરાગ કશ્યપની અરેસ્ટ કેમ નથી કરાઇ? : પાયલ ઘોષ ભડકી

28 September, 2020 02:17 PM IST  |  Mumbai | Agency

અનુરાગ કશ્યપની અરેસ્ટ કેમ નથી કરાઇ? : પાયલ ઘોષ ભડકી

પાયલ ઘોષ

બૉલીવુડ અભિનેત્રી પાયલ ઘોષે જાણીતા ડિરેક્ટર અનુરાગ કશ્યપે તેના પર સાત વર્ષ અગાઉ બળાત્કાર કર્યો હતો એવી ફરિયાદ ૭ દિવસ પહેલાં વર્સોવા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે, પણ પોલીસ એ કેસમાં અનુરાગ કશ્યપની ધરપકડ કરતી ન હોવાથી હવે પાયલ ઘોષે ચીમકી આપતાં કહ્યું છે કે પોલીસ તેની ધરપકડ કેમ કરતી નથી? કેમ આટલી વાર લગાડી રહી છે? જો હવે પોલીસ તેની વહેલી તકે ધરપકડ નહીં કરે તો હું વર્સોવા પોલીસ સ્ટેશન સામે ભૂખ હડતાળ કરીશ.

અનુરાગ કશ્યપ

પાયલ ઘોષ અને તેના વકીલ નીતિન સાતપૂતે ગઈ કાલે વર્સોવા પોલીસ સ્ટેશન ગયા હતા અને આ કેસમાં ઝડપી કાર્યવાહી કરવામાં આવે એવી રજૂઆત કરી હતી. પોલીસ સ્ટેશન બહાર પત્રકારો સાથે વાત કરતાં પાયલ ઘોષે કહ્યું હતું કે પોલીસ અનુરાગ કશ્યપની ધરપકડ નથી કરી રહી કારણ કે એ બહુ વગદાર માણસ છે.

પાયલ ઘોષે એવો આરોપ કર્યો હતો કે ૨૦૧૩માં અનુરાગ કશ્યપે પાયલના જ યારી રોડના ફ્લૅટમાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. અનુરાગ કશ્યપે એ આરોપ ફગાવી દીધા છે અને તે પાયાવિહોણા હોવાનું કહ્યું છે. પાયલ ઘોષે એવા પણ આક્ષેપ કર્યા હતા કે તેને અનુરાગ અને તેના વેલવિશર દ્વારા ધમકીઓ પણ મળી રહી છે. વર્સોવા પોલીસે ગઈ કાલે એ કેસના તપાસ અધિકારી હાજર ન હોવાથી પાયલને આજે સોમવારે આવવા કહ્યું છે.

અનુરાગ કશ્યપના વકીલે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે મારા અસીલ સામે કરાયેલા આક્ષેપો તદ્દન જુઠ્ઠા અને પાયાવિહોણા છે જેના કારણે મારા અસીલને ભારે દુઃખ પહોંચ્યું છે.

anurag kashyap mumbai mumbai news Crime News mumbai crime news