13 November, 2022 11:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
શારજાહથી ચાર્ટર ફ્લાઈટમાં મુંબઈ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ગઈ કાલે પહોંચેલા અભિનેતા શાહરુખ ખાનને કસ્ટમ્સ વિભાગે અટકાવ્યો હતો અને તેની સામે ૧૮ લાખ રૂપિયાની કિંમતની ઈમ્પોર્ટેડ ઘડિયાળો પર થતો ૭ લાખ કસ્ટમ્સ ડ્યુટી વસૂલી હોવાનું જાણવા મળ્યું હતું. એક કલાક સુધી તપાસ કરાયા બાદ શાહરુખના ગાર્ડે કસ્ટમ્સ-ડ્યુટી ભરી દીધા બાદ તેને તથા મૅનેજર પૂજા દાદલાણીને જવા દેવામાં આવ્યા હતા.
શારજાહથી મુંબઈ પાછા ફરેલા શાહરુખ ખાનને મુંબઈ ઍરપોર્ટ પર કસ્ટમ્સે અટકાવ્યો હતો. એટલું જ નહીં, તેની પાસેથી મળી આવેલી ૧૮ લાખ રૂપિયાની કીમતી ઘડિયાળો પર કસ્ટમ્સ-ડ્યુટી વસૂલ્યા બાદ તેને જવા દેવામાં આવ્યો હતો. ઍરપોર્ટ પર ઊતર્યા બાદ એક કલાક સુધી તેણે આ પ્રોસીજર માટે રોકાવું પડ્યું હતું.
શાહરુખ ખાન મૅનેજર પૂજા દદલાણી અને બોડી ગાર્ડ રવિ શંકર સિંહ સાથે શુક્રવારે મોડી રાત્રે ૧૨.૩૦ વાગ્યે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર ઊતર્યો હતો. ત્યાર બાદ તેની કસ્ટમ્સ દ્વારા તપાસ કરવામાં આવતાં તેની પાસેથી કુલ મળીને ૧૮ લાખ રૂપિયાની કેટલીક કીમતી ઘડિયાળો મળી આવી હતી. કસ્ટમ્સે તેને તેના પર ડ્યુટી અને પેનલ્ટી મળીને ૬.૮૩ લાખ રૂપિયા ભરવા કહ્યું હતું. શાહરુખ ખાને કહ્યું હતું કે તે નહોતો જાણતો કે તેના સ્ટાફે એ ડ્યુટી ભરી નથી. બાદમાં બોડી ગાર્ડ રવિ શંકર સિંહે ડ્યુટી અને પેનલ્ટીની ૬.૮૩ લાખ રૂપિયાની રકમ ભરી હતી. કસ્ટમ્સ ઑફિસરે તેને ચેતવણી પણ આપી હતી કે ફરી વખત આવું ન થવું જોઈએ.