18 September, 2020 11:43 AM IST | Aurangabad | Agencies
મરાઠવાડા મુક્તિસંગ્રામ દિને CM-સંસદસભ્યની ગેરહાજરી પર ઍક્ટિવિસ્ટ નારાજ
અહીં યોજાયેલી મરાઠવાડા મુક્તિ દિન પ્રસંગે રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને ઔરંગાબાદના લોકસભાના સંસદસભ્ય ઇમ્તિયાઝ જલીલની ગેરહાજરી સામે મરાઠવાડા તરફી સંગઠનના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો.
17 સપ્ટેમ્બર, 1948ના ઔરંગાબાદ હૈદરાબાદના નિઝામની બેડીઓમાંથી મુક્ત થયું, એની સ્મૃતિરૂપે યોજાતા મરાઠવાડા મુક્તિસંગ્રામ દિનની ઊજવણીમાં દર વર્ષે મુખ્ય પ્રધાન હાજર રહે છે.
આ વખતે સીએમ અને શિવસેનાના પ્રમુખ ઠાકરેએ અહીં યોજાયેલા મુક્તિસંગ્રામ સ્મૃતિદિનના ધ્વજ લહેરાવવાના સમારોહમાં વિડિયો કૉન્ફરન્સ થકી હાજરી આપી હતી.
મરાઠવાડા વિકાસ મંચના કેટલાક સભ્યોએ ઔરંગાબાદના સંસદસભ્ય અને ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (એઆઇએમઆઇએમ)ના નેતા જલીલ અને ઉદ્ધવ ઠાકરે કાર્યક્રમમાં ગેરહાજર રહેતાં વિરોધ-પ્રદર્શન કર્યું હતું.
અત્યારે ચાલી રહેલા સંસદીય સત્રમાં હાજર રહેવા નવી દિલ્હી ગયેલા જલીલે ટ્વીટ કરી હતી કે ‘મુખ્ય પ્રધાને ધ્વજ લહેરાવવાના કાર્યક્રમમાં હાજર રહેવાનો સ્પષ્ટપણે ઇનકાર કરી દીધો હતો. મને સવાલ કરનારા લોકો હવે મુખ્ય પ્રધાનને તેમની ગેરહાજરી વિશે સવાલ ન કરશો. મને લાગે છે કે આ બેવડું વલણ છે.’
જલીલે અન્ય ટ્વીટમાં જણાવ્યું હતું કે ‘મરાઠવાડા મુક્તિસંગ્રામમાં મારી ગેરહાજરી રાષ્ટ્રવિરોધી છે તો શું મુખ્ય પ્રધાનની ગેરહાજરી દેશભક્તિ છે? નિષ્ઠાનાં પ્રમાણપત્રો આપનારાં માધ્યમો અત્યારે ચૂપ કેમ છે?’
આ મામલે શિવસેનાના એમએલસી અને પક્ષના જિલ્લા એકમના પ્રમુખ અંબાદાસ દાનવવેએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાનને જલીલના દેશભક્તિના પ્રમાણપત્રની જરૂર નથી. તેમણે ઉમેર્યું હતું કે મુખ્ય પ્રધાન ગેરહાજર નહોતા અને તેમણે વિડિયો કૉન્ફરન્સિંગ થકી કાર્યક્રમમાં ભાગ લીધો હતો.